ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાને લીધે હજુ ધો. 3થી8ના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ધો. 12 અને કોલેજોમાં ઓફ લાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. અને હવે ધો. 1થી 11ની શાળાઓ શરૂ કરીને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા સરકાર વિચારી રહી છે. કોરોનાના કાળમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ શિક્ષણનું સ્તર ઘટે નહીં તે માટે નવા સત્રમાં ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓને હોમલર્નિંગથી અપાતા ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓએ મેળવેલા શિક્ષણના મૂલ્યાંકન માટે શિક્ષણ વિભાગ દ્વારા સામાયિક કસોટી લેવાશે. કુલ 25 ગુણની કસોટી ગુજરાતી ગણિત અને અંગ્રેજીની લેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાને પગલે સતત બીજા શૈક્ષણિક સત્રમાં પણ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અપાઈ રહ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 11ના વિદ્યાર્થીઓને પાછલા ધોરણનો મહાવરો કરાવવા માટે 1 મહિનો જ્ઞાનસત્ર કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ અપાઈ રહ્યું છે. આ ઉપરાંત રાજ્યની પ્રાથમિક શાળાઓ ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા હોમલર્નિંગ સહિતના વિવિધ માધ્યમોથી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે હોમલર્નિંગ માધ્યમથી વિદ્યાર્થીઓએ મેળવેલા શિક્ષણનું મૂલ્યાંકન કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સામાયિક કસોટી લેવાશે. શૈક્ષણિક મૂલ્યાંકન માટે લેવાના સામાયિક કસોટીમાં ધોરણ 3 થી 8ના ગણિત ગુજરાતી અને અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાશે. શૈક્ષણિક મૂલ્યાંકન કસોટી 25 ગુરુની લેવામાં આવનાર છે જે ના પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓને ઓનલાઇનના માધ્યમ પહોંચાડવામાં આવશે.
સામયિક કસોટી ચાલુ માસમાં છેલ્લા વીકમાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓએ વાલીઓની સમક્ષ બેસીને પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. પ્રશ્નોના જવાબ લખેલી ઉત્તરવહી શાળામાં શિક્ષકોને પહોંચાડવાની રહેશે. વિદ્યાર્થીઓના વિષયવાર ગુણ અને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. આ રીતે નવા સત્રમાં ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે સામાયિક કસોટી લેવામાં આવશે તેવી જાહેરાત થઈ છે.