રાષ્ટ્રપતિની ચૂંટણીઃ દ્રૌપદી મૂર્મૂને શિવસેનાના સમર્થનના નિર્ણયથી કોંગ્રેસે આશ્ચર્ય વ્યક્ત કર્યું
મુંબઈઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપાએ દ્રૌપદી મૂર્મૂને ઉમેદવાર બનાવ્યાં છે. દરમિયાન શિવસેનાએ દ્રૌપદી મૂર્મૂને સમર્થન આપવાનો નિર્ણય કરતા મહાવિકાસ અઘાડીમાં અંતર વધ્યું હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસે શિવસેનાના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ અને એનસીપીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શિવસેનાના નિર્ણયથી મહાવિકાસ અઘાડીમાં અંદર ઉભુ થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી બાલાસાહેબ થોરાટએ શિવસેનાના નિર્ણય અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, શિવસેના પ્રમુખએ આ નિર્ણય લેતા પહેલા કોઈ ચર્ચા કરવામાં આવી નથી. કોંગ્રેસના નેતાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, અમને ખ્યાલ નથી કે શિવસેના દ્રૌપદી મૂર્મૂને કેમ સમર્થન આપી રહી છે. શિવસેના મહાવિકાસ અઘાડીનો હિસ્સો છે પરંતુ અમે આ અંગે કોઈ ચર્ચા વિચારણા કરી ન હતી.
શિવસેનાના નિર્ણયને એનસીપીએ અંગત નિર્ણય ગણાવ્યો હતો. એનસીપીના નેતા જયંત પાટિલે જણાવ્યું હતું કે, મહાવિકાસ અઘાડીથી દૂર જોવાની કોઈ વાત નથી. પહેલા પણ શિવસેનાનો રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાનો અંગત નિર્ણય રહ્યો છે. શિવસેના જેને સમર્થન આપે છે તે જ રાષ્ટ્રપતિ બને છે. આ તેમનો અંગત નિર્ણય છે અને તેમાં અમારી કોઈ ભૂમિકા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અગાઉ પણ શિવસેનાએ એનડીએના ઉમેદવારને સમર્થન આપવાને બદલે યુપીએના ઉમેદવારને સમર્થન આપ્યું હતું. તેમજ તાજેતરમાં શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે, દ્રૌપદી મૂર્મૂને શિવસેનાનું સમર્થન એટલે ભાજપને સમર્થન નથી.
(Photo-File)