જી-20ના સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી બાલી જવા રવાના
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઈન્ડોનેશિયાના બાલી જવા માટે આજે રવાના થયા. આ સંમેલન 15-16 નવેમ્બરના રોજ બાલીમાં આયોજિત થઇ રહ્યું છે.
રવાના થતાં પહેલાં વડાપ્રધાને આ અંગે જણાવ્યું હતું કે, “બાલી શિખર સંમેલન દરમ્યાન હું વૈશ્વિક ચિંતાના મુખ્ય મુદ્દાઓ, જેવા કે વિકાસ, ખાદ્ય અને ઊર્જા સુરક્ષા, પર્યાવરણ, સ્વાસ્થ્ય અને ડિજિટલ પરિવર્તનો વિષે અન્ય જી-20ના નેતાઓ સાથે ચર્ચા કરીશ.
બાલીમાં જી-20 શિખર સંમેલનમાં હું, ભાગ લેનાર અન્ય દેશોના નેતાઓ સાથે પણ વાતચીત કરીશ અને ભારત સાથેના તેમના દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ વિશેની ચર્ચા અને સમીક્ષા પણ કરીશ. બાલીમાં 15 નવેમ્બરે આયોજિત એક સ્વાગત સમારોહમાં ભારતીય સમુદાયને સંબોધન કરવા પણ હું ઘણો ઉત્સુક છું.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો, બાલી શિખર સંમેલનના સમાપન સમારોહમાં ભારતને જી-20ની અધ્યક્ષતા સોંપશે. ભારત સત્તાવાર રીતે 1 ડિસેમ્બરથી જી-20ની અધ્યક્ષતા ગ્રહણ કરશે.”