નવીદિલ્હીઃ બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના રમતવીરોએ પ્રશંનીય પ્રદર્શન કરીને કુલ 61 મેડલ જીત્યા હતા અને મેડલ ટેલીમાં પણ ચોથું સ્થાન મેળવ્યું હતું. ભારતના મેડલ વિજેતા ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા બાદ આજં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા મુલાકાત લેશે,
બર્મિંગહામમાં તાજેતરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેઈમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને કુલ 61 મેડલ જીત્યા હતા. આજે શનિવારે સવારે 11 વાગ્યે કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લેશે.
બર્મિંગહામમાં જ્યારે આ કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહી હતી ત્યારે પણ વડાપ્રધાન મોદીએ મેડલ વિજેતા ખેલાડીઓને ટ્વિટર દ્વારા અભિનંદન આપ્યા હતા અને પ્રોત્સાહિત કર્યા હતા. અગાઉ, જ્યારે ભારતીય ટીમ ટોક્યો ઓલિમ્પિકમાંથી પરત આવી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેડલ વિજેતાઓને પણ મળ્યા હતા.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શુક્રવારે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય સશસ્ત્ર દળોના ખેલાડીઓને મળ્યા હતા. રક્ષા મંત્રીએ સશસ્ત્ર દળોના ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી અને તેને શાનદાર ગણાવી. સિંહે ટ્વિટર પર લખ્યું, બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા સશસ્ત્ર દળોના ખેલાડીઓ સાથે ઉત્તમ વાર્તાલાપ થયો છે. તેઓએ તેમના શાનદાર પ્રદર્શનથી દરેકને ખુશ કર્યા અને તેમની સિદ્ધિઓથી રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. આ ખેલાડીઓને ભવિષ્ય માટે સફળતા પ્રાપ્ત કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતે આ ગેમ્સમાં કુલ 61 મેડલ જીત્યા હતા, જેમાંથી 22 ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારતીય ખેલાડીઓ 16 સિલ્વર મેડલ અને 23 બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. આ વખતે ભારતે ઘણી રમતોમાં ઈતિહાસ રચ્યો હતો. એથ્લેટિક્સમાં ભારતને ઘણી સફળતા મળી હતી. તેજસ્વિન શંકર, મુરલી શ્રીશંકર જેવા ખેલાડીઓએ પ્રથમ વખત મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ રમતોમાં મહિલા ક્રિકેટને પ્રથમ વખત તક મળી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ફાઈનલમાં તેને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું.