1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર સામે લોકોમાં વિરોધ, વડોદરામાં સામાન્ય નાગરિકને 9 લાખનું બિલ મળ્યું
સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર સામે લોકોમાં વિરોધ, વડોદરામાં સામાન્ય નાગરિકને 9 લાખનું બિલ મળ્યું

સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર સામે લોકોમાં વિરોધ, વડોદરામાં સામાન્ય નાગરિકને 9 લાખનું બિલ મળ્યું

0
Social Share

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં વીજળીના સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. જેમાં પ્રિપેઈડ મોબાઈલ ફોનની જેમ વીજળીની જેટલી જરૂરિયાત હોય તે મુજબ સ્માર્ટ મીટરને ગ્રાહકે પોતાના મોબાઈલ ફોનથી એડવાન્સ રૂપિયા ભરીને સ્માર્ટ મીટર ચાર્જ કરાવવા પડે છે. બીજીબાજુ એવી ફરિયાદો ઉઠી છે. કે, સ્માર્ટ મીટર ફાસ્ટ દોડે છે. બે મહિને જે બિલો આવતા હતા. તે એક સપ્તાહમાં આવવા લાગ્યા છે. વડોદરાના એક નાગરિકને સ્માર્ટ મીટરનું રૂપિયા 9 લાખનું બિલ આવ્યુ હતું. વડોદરામાં સ્માર્ટ મીટર સામે ભારે વિરોધ બાદ હવે સુરેન્દ્રનગરમાં પણ ભારે વિરોધ જાગ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ કંપની દ્વારા હાલ સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. શહેરમાં 900થી વધુ રહેણાક મકાનોમાં સ્માર્ટ મીટર લગાવાયા છે. ત્યારે  ધડાધડ યુનીટો વધતા હોવાની રાવ ઉઠી છે. આ બાબતે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મંગળવારે 200થી વધુ ગ્રાહકો વીજ કંપનીની સર્કલ કચેરીએ દોડી ગયા હતા. અને પોતાના સ્માર્ટ મીટર પાછા ઉખેડી લેવા અને તેના સ્થાને રૂટીન મીટર આપવા માંગ કરી હતી.

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં પીજીવીસીએલ વીજ કંપની દ્વારા જુના-પુરાણા મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં લાગેલા સ્માર્ટ મીટરમાં ધડાધડ યુનીટ બળતા હોવાની રાવ ઉઠી હતી. જુના મીટરમાં દરરોજ અંદાજે 18થી 20 યુનીટ બળતા હતા. જયારે નવા સ્માર્ટ મીટર લાગ્યા પછી દરરોજ 65થી 70 યુનીટ બળી જાય છે. ઘરના અન્ય ઉપકરણો બંધ કરીને માત્ર ફ્રીઝ ચાલુ રાખીએ તો પણ એક કલાકે એક યુનીટ બળે છે.આમ માત્ર ફ્રીઝના જ 24 કલાકમાં 24 યુનીટ થઈ જાય છે. આથી સ્માર્ટ મીટર બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.  મંગળવારે 200થી વધુ વીજ ગ્રાહકો વીજ કંપનીની સર્કલ ઓફીસે પહોંચીને આક્રોશ સાથે રજૂઆત કરી હતી. અને પોતાના સ્માર્ટ વીજ મીટર પાછા ઉખેડી નાંખી તેના સ્થાને જુના રૂટીન વીજ મીટર નાંખવા અરજીઓ કરી હતી. વીજ અધિકારીએ આ બંને મીટરમાં કોઈ ફેર ન હોવાનું જણાવતા લોકોએ ફેર ન હોય તો બદલવા શું કામ પડયા? તેમ કહીને રોષ વ્યકત કર્યો હતો.

સ્થનિક લોકોએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર શહેરમાં જે લોકો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો છે, જે લોકો નિયમિત વીજ બિલ ભરે છે, તેવા લોકોને ટારગેટ કરીને તેમને ત્યાં સ્માર્ટ મીટર લગાવાયા છે. બીજી તરફ શહેરના એવા અનેક વિસ્તારો છે કે જયાં બેફામ વીજ ચોરી થાય છે. ત્યારે આવા વિસ્તારોમાં સ્માર્ટ મીટર કેમ લગાવાયા નથી? જયારે મુખ્ય રાજકીય પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોને ત્યાં પણ સ્માર્ટ મીટરો હજુ સુધી પહોંચ્યા નથી. સરકારના પરિપત્રમાં સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત ન હોવા છતાં સુરેન્દ્રનગર પીજીવીસીએલ તંત્ર બળજબરીપૂર્વક વીજગ્રાહકોના સ્માર્ટ મીટર લગાવી લેતા હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. તેમજ પરિપત્ર મુજબ જે વિસ્તારોમાં વીજચોરી થતી હોય તેવા વિસ્તારોમાં જ વસ્તીના આધારે 15 ટકા જેટલા વીજગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવવાની સરકારની ગાઈડલાઈન હોવાનું જણાવ્યું હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code