1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. CM ભૂપેન્દ્ર પટેલે પ્રભુ જગન્નાથજીના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે કરી મંગલ કામના
CM ભૂપેન્દ્ર પટેલે પ્રભુ જગન્નાથજીના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે કરી મંગલ કામના

CM ભૂપેન્દ્ર પટેલે પ્રભુ જગન્નાથજીના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે કરી મંગલ કામના

0
Social Share

અમદાવાદ, 16 જુલાઈ 2026: પવિત્ર અષાઢી બીજના મંગલમય અવસરે સમગ્ર ગુજરાતમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદની 149મી ઐતિહાસિક રથયાત્રાના ભવ્ય પ્રારંભ વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમસ્ત નગરજનો અને ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સીએમ પટેલે આ પાવન પર્વે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના ચરણોમાં વંદન કરી રાજ્યના પ્રત્યેક નાગરિકના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને અખંડ સમૃદ્ધિ બની રહે તેવી મંગલ પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રીએ રથયાત્રાના ભવ્ય પ્રસ્થાન સમયે જણાવ્યું હતું કે, સદીઓ જૂની આ ઐતિહાસિક રથયાત્રા એ માત્ર કોઈ ધાર્મિક ઉત્સવ પૂરતી મર્યાદિત નથી. આ એક એવો પાવન અવસર છે જે જ્ઞાતિ-જાતિ, નાના-મોટા કે ઉચ્ચ-નીચના તમામ ભેદભાવોને ઓગાળીને સમગ્ર સમાજને એકતાના તાંતણે બાંધવાનું કામ કરે છે. આજે જ્યારે પ્રભુ જગન્નાથજી સ્વયં પોતાના ગર્ભગૃહમાંથી બહાર આવીને નગરજનોને આશીર્વાદ આપવા નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે આ મહોત્સવ સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ અને જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.

આ ભવ્ય ધર્મોત્સવને સફળ, સુમેળભર્યો અને શાંતિપૂર્ણ બનાવવા માટે અવિરત કાર્યરત તમામ લોકોનો મુખ્યમંત્રીએ વિશેષ આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું કે, રથયાત્રાના આયોજન પાછળ અસંખ્ય સ્વયંસેવકો, મંદિરના સેવકો, પોલીસ જવાનો અને વહીવટી તંત્રના અધિકારીઓ રાત-દિવસ જોયા વગર ખડેપગે સેવા આપી રહ્યા છે. આ તમામ સેવાભાવી લોકોની નિષ્ઠા અને સમર્પણને કારણે જ આટલો મોટો ઉત્સવ દર વર્ષે ભક્તિભાવપૂર્વક સંપન્ન થાય છે.

કચ્છી ભાઈ-બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

અષાઢી બીજનો આ દિવસ કચ્છી પ્રજા માટે પણ ખૂબ જ મહત્વનો અને ઉત્સવનો દિવસ છે. આ પવિત્ર અવસરે કચ્છી માડુઓના નૂતન વર્ષનો પ્રારંભ થતો હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત, દેશ અને દુનિયાના ખૂણે-ખૂણે વસતા તમામ કચ્છી ભાઈ-બહેનોને નવા વર્ષની સ્નેહપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે કચ્છી સમુદાયનું નવું વર્ષ વેપાર-રોજગાર, પ્રગતિ અને ખુશહાલીથી સભર રહે અને તેઓ પોતાની આગવી સંસ્કૃતિ સાથે સદા અગ્રેસર રહે.

વધુ વાંચો: ભક્તિ, શ્રદ્ધા અને ભવ્યતાનો ત્રિવેણી સંગમ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code