રાહુલ ગાંધીનો વડાપ્રધાન મોદીને જવાબ, કહ્યું હેલ્લો મોદીજી તમે થોડા નર્વસ છો ?
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘અદાણી-અંબાણી’ નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. કોંગ્રેસના નેતાએ પૂછ્યું છે કે શું તેઓ નર્વસ છે? રાહુલ ગાંધીએ PM મોદી પાસે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની CBI અને ED દ્વારા તપાસ કરાવવાની માંગ કરી હતી. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે છેલ્લા પાંચ વર્ષથી સવારે ઉઠતાની સાથે જ અંબાણી અને અદાણીના નામનો જપ કરનારા કોંગ્રેસના રાજકુમારે તેમની પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે કે લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ તેમનું નામ બોલવાનું બંધ કરી દીધું
તેઓ ટેમ્પોમાં પૈસા આપે છે તેનો શું તમને વ્યક્તિગત અનુભવ છે ?
વડાપ્રધાન મોદીના નિવેદનનો જવાબ આપતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, હેલો મોદીજી, તમે થોડા નર્વસ છો? સામાન્ય રીતે તેઓ બંધ રૂમમાં અદાણી-અંબાણી વિશે વાત કરો છો.. પહેલીવાર જાહેરમાં અદાણી-અંબાણી બોલ્યા. તમને એ પણ ખબર છે કે તેઓ ટેમ્પોમાં પૈસા આપે છે. શું તમારી પાસે વ્યક્તિગત અનુભવ છે? એક કામ કરો, CBI EDને તેમની પાસે મોકલો. સંપૂર્ણ તપાસ કરાવો, ગભરાશો નહીં. હું ફરીથી દેશને કહું છું કે જેટલા પૈસા મોદીજીએ આ લોકોને આપ્યા છે, તેટલાજ અમે દેશના ગરીબોને આપવા જઇ રહ્યા છે. મહાલક્ષ્મી યોજના, પહેલી નોકરી પાક્કી યોજના દ્વારા કરોડો લખપતિ બનાવીશું.. તેઓએ 22 અબજોપતિ બનાવ્યા છે, અમે કરોડો લખપતિ બનાવીશું.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું મોદીજીની ખુરશી હલી રહી છે
તે જ સમયે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં પીએમ મોદીને જવાબ આપતા કહ્યું, “સમય બદલાઈ રહ્યો છે. મિત્ર હવે મિત્ર નથી રહ્યા…! ચૂંટણીના ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ આજે વડાપ્રધાન પોતાના જ મિત્રો પર હુમલાખોર બન્યા છે. આ દર્શાવે છે કે મોદીજીની ખુરશી હલી રહી છે.