રાજસ્થાનઃ ચિત્તોડગઢમાંથી 3 આતંકવાદીઓ હથિયારો સાથે ઝડપાયાં
નવી દિલ્હીઃ રાજસ્થાનના ચિત્તોડગઢમાંથી પોલીસે ત્રણ આતંકવાદીઓને ઝડપી લઈને તેમની પાસેથી મોતનો સામાન મળી આવ્યો હતો. આતંકવાદીઓ પાસે આરડીએક્સ મળી આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે ત્રણેય આતંકવાદીઓની અટકાયત કરીને ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. તેમના અન્ય સાગરિતોને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં પોલીસે આતંકી સંગઠન અલસફાના ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી છે. પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે નિમ્બહેરા સદર પોલીસ સ્ટેશને નાકાબંધી દરમિયાન મધ્યપ્રદેશ તરફથી એક કારને અટકાવી હતી અને તેની તલાશી લેતા તેમાંથી આરડીએક્સ, ફ્યુઝ વાયર અને ટાઇમર સેટ કરવા માટે ઘડિયાળ જેવી સામગ્રી તથા રોકડ રકમ મળી આવી હતી.
પ્રારંભિક પૂછપરછમાં, ત્રણેએ પોતાને મધ્યપ્રદેશના રતલામ શહેરના રહેવાસી હોવાનું કહ્યું હતું. તેઓ આતંકવાદી સંગઠન અલસાફા સાથે સંકળાયેલા છે અને તેઓ જયપુરમાં કોઈને સામગ્રી સોંપવાના હતા. તે કોને સોંપવાના હતા તે ખબર નથી, પરંતુ તેમના આકાઓના નિશાના ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી અને ભીડભાડવાળા વિસ્તારો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે અફીણની દાણચોરીની શંકાના આધારે આ લોકોને રોક્યા હતા અને શોધખોળ કરી હતી, પરંતુ તેઓ આતંકવાદી હોવાની જાણ થતાં, રાજ્યની એટીએસ સહિતની કેન્દ્રીય એજન્સીઓને જાણ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં આરોપીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.