નવી દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરમાં આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. પુરી ધાર્મિક વિધી સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરમાં પ્રભુ શ્રી રામની બાળ સ્વરૂપ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના સીએમ યોગી, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને આરએસએસના વડા મોહન ભાગવતની ઉપસ્થિતિમાં આ અનુષ્ઠાન પુરુ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતાના મહાનુભાવોએ રામલલાની પૂજા અર્ચના કરી હતી. દરમિયાન ગર્ભગ્રહમાંથી રામલલાની પ્રથમ તસ્વીર પણ સામે આવી હતી. રામલલાને સોનાના કવચ કુંડળ અને કરધન હાર પહેરાવવામાં આવ્યો છે. ભગવાનનાં હાથમાં સોનાનું ધનુષ બાણ છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મંદિર પરિસરમાં હેલિકોપ્ટર વડે પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ શહેરો અને નગરોમાં સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કરોડો ભક્તોએ ટીવીના માધ્યમતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નીહાળીને પ્રભુ શ્રી રામજીના દર્શન કર્યાં હતા. સમગ્ર દેશમાં હનુમાન ચાલીસાનું પઠન, ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો મંદિરોમાં યોજાયા હતા. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. સવારથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અયોધ્યા પહોંચ્યાં હતા. દેશના ઉદ્યોગપતિઓ, ખેલાડી અને કલાકારો સહિતના મહાનુભાવો આ પર્વના સાક્ષી બન્યાં હતા. સમગ્ર અયોધ્યા સહિત સમગ્ર દેશ રામના નામથી ગુંજી ઉઠ્યો હતો.
શ્રી રામ જન્યભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયજીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે કહ્યું હતું કે, રામલલાની મૂર્તિ અરુણ યોગીરાજજીએ બનાવી છે. દરવાજાનું લાકડુ મહારાષ્ટ્રથી, ગ્રેનાઈટ આંધ્રપ્રદેશથી આવ્યું હતું. આમ મંદિરના નિર્માણમાં ઉત્તરથી લઈને દક્ષિણ ભારત તરફથી સહયોગ મળ્યો છે.