મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી 10મી નવેમ્બર સુધી કરી શકાશે
ગાંધીનગરઃ રાજ્યમાં ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી તારીખ 10મી નવેમ્બર સુધી લંબાવવાનો રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. ખેડૂત નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે તારીખ 25મી સપ્ટેમ્બર થી શરૂ થઈ છે જે 24 ઓક્ટોબર 2022 સુધીની નક્કી કરવામાં આવી હતી. પરંતુ કેટલાક જિલ્લામાં વી સી ઈ ની હડતાલના કારણે નોંધણી થઈ શકી નથી. તેથી મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.તેમ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23 ના ખરીફ પાકો મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ એટલે કે તારીખ 29 ઓક્ટોબર 2022 થી કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો હતો.તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીનું સધન આયોજન કરવામાં આવેલ છે.વર્ષ 2022-23 માં મગફળીની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ગુજકોમાસોલની રાજ્ય નોડલ એજન્સી તરીકે નિમણૂક કરી છે.
રાજ્યના કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે ખેડૂત નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે તારીખ 25મી સપ્ટેમ્બર થી શરૂ થઈ છે જે 24 ઓક્ટોબર 2022 સુધી થનાર હતી. પરંતુ કેટલાક જિલ્લામાં વી સી ઈ ની હડતાલના કારણે નોંધણી થઈ શકી નથી. આથી ખેડૂતોને નોધણીમાં મુશ્કેલી ના પડે અને તમામ ખેડૂતોને નોંધણીની તક મળી રહે તે માટે હવે ખેડૂત નોંધણી 10 મી નવેમ્બર સુધી કરાશે આથી સર્વે ખેડૂત મિત્રોએ ટેકાના ભાવે ખરીદી માટે સત્વરે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે જરૂરી દસ્તાવેજો સાથે સત્વરે નોંધણી કરાવવા અનુરોધ છે.