Homerevoinewsપીએમ મોદીના વીડિયો અંગે ઝકરબર્ગ ત્રણ દિવસમાં માફી માગે, નહીં તો એક્શન...

પીએમ મોદીના વીડિયો અંગે ઝકરબર્ગ ત્રણ દિવસમાં માફી માગે, નહીં તો એક્શન લેવાશેઃ ભારતની મેટાને ચિમકી

નવી દિલ્હી, 5 ઓગસ્ટ, 2026 – પીએમ મોદીના વીડિયો અંગે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયની સંસદીય સમિતિએ મેટાના CEO ઝકરબર્ગને 3 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ઝકરબર્ગને કહેવામાં આવ્યું છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 23 જુલાઈનો વીડિયો થોડા સમય માટે હટાવવા બદલ માફી માંગે અને આ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરે.

‘પીએમ મોદીનો વીડિયો હટાવવો એ લોકશાહી પર હુમલો’

ભાજપના સાંસદ નિશિકાંત દુબેની આગેવાની હેઠળની આ સમિતિએ જણાવ્યું હતું કે 1.4 અબજ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરતા પીએમ મોદીનો વીડિયો હટાવવો એ “લોકશાહી પર હુમલો” છે. સમિતિએ ઉમેર્યું કે, “જો ફેસબુક આ મામલે જવાબદાર લોકો સામે કાર્યવાહી નહીં કરે તો ‘સેફ હાર્બર ક્લોઝ’ હટાવી દેવામાં આવશે. ઝકરબર્ગે માફી માંગવી પડશે, નહીંતર કેસ દાખલ થઈ શકે છે.”

‘સેફ હાર્બર ક્લોઝ’ હટવાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અધિકારીઓ સામે સીધી FIR નોંધવાનો માર્ગ મોકળો થશે. સમિતિએ ચેતવણી આપી હતી કે કેન્દ્ર સરકાર આ માટે મંજૂરી આપશે.

3 દિવસની અંદર બિનશરતી માફી માંગવા જણાવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો હટાવવા બદલ સમિતિએ મેટા પ્રમુખ ઝકરબર્ગને ત્રણ દિવસની અંદર બિનશરતી માફી માંગવા કહ્યું છે. જો આમ નહીં કરવામાં આવે તો IT Act ની કલમ 79(3) હેઠળ મળેલી સુરક્ષા પરત ખેંચાઈ શકે છે અને તેમણે પ્રકાશક (Publisher) તરીકે કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

PM મોદીએ નીટ પેપર લીક અંગે શેર કર્યો હતો વીડિયો

પીએમ મોદીની પોસ્ટ, જે પહેલા ઇન્સ્ટાગ્રામ અને બાદમાં ફેસબુક પર શેર કરવામાં આવી હતી, તે તેમનો પહેલો સેલ્ફી વીડિયો હતો. તેમાં ‘જેન ઝી’ (Gen Z) માટે એક સંદેશ હતો, જેમાં પેપર લીક સામે સખત પગલાં લેવાનું વચન આપવામાં આવ્યું હતું. તે સમયે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. મેટાએ તેને થોડા સમય માટે ફેસબુક પરથી હટાવી દીધો હતો. પાછળથી મેટાએ ટેકનિકલ ખામીને આ ઘટનાનું કારણ ગણાવીને માફી માંગી હતી, પરંતુ IT મંત્રાલયે આ સ્પષ્ટતાને અપૂરતી માની હતી.

વીડિયો ડિલીટ થવાનું શું કારણ આપ્યું?

પીએમ મોદીના Gen Z ને વીડિયો દ્વારા કરાયેલા સંબોધનને ડિલીટ કર્યા બાદ IT મંત્રાલયે મેટાને સમન્સ પાઠવ્યું હતું. મેટા તરફથી સરકારને જણાવાયું કે AI ના ઓટોમેટેડ કન્ટેન્ટ મોડરેશન ટૂલના કારણે આ ભૂલ થઈ હતી. આ માટે મેટા વધારાની દેખરેખ રાખશે. મેટાએ પોતાની સ્પષ્ટતામાં સાફ કર્યું હતું કે VIP અને જાણીતી હસ્તીઓની પોસ્ટને કોઈ વરિષ્ઠ અધિકારીની મંજૂરી વિના હટાવવામાં નહીં આવે.

સંબંધિત લેખો

Most Popular