અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત આવતીકાલે બુધવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ ગુજરાતમાં બે દિવસના રોકાણ દરમિયાન ધરમપુરમાં રાજચંદ્ર મિશનની મુલાકાત લેશે. આરએસએસના વડા મોહન ભાગવત બે ગુજરાતની મુલાકાત દરમિયાન રાજ્યના આરએસએસના આગેવાનો સાથે પણ મુલાકાત કરશે.
આરએસએસના પ્રાંત પ્રચાર પ્રમુખ વિજય ઠાકરએ જણાવ્યું હતું કે, આરએસએસના સરસંઘસાચક આવતીકાલે બુધવારે રાતના સુરત આવશે. તેમજ બીજા દિવસે ગુરુવારે ધરમપુરની મુલાકાત લેશે. તેઓ ગુરુવારે સવારે 9થી 1 વાગ્યા સુધી ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશનની મુલાકાત લેશે. આ ઉપરાંત સાંજના 4થી 5 વાગ્યા સુધી શ્રી સદગુરુધામ, બરૂમાલની મુલાકાત લેશે. તેમજ સંઘના કાર્યકર્તાઓ સાથે ભેટ કરશે. જે બાદ તેઓ રાતના અહીંથી પ્રસ્થાન કરશે.