અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન દેશમાં અત્યાર સુધી આવેલી કુદરતી આફતોમાં પ્રજાની સેવા માટે તૈયાર રહેતા આરએસએસના સ્વયંસેવકોએ દેશમાં કોરોના મહામારીમાં પીડિત લોકોની સેવાની જવાબદારી ઉઠાવી લીધી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્રભાવિત લોકોને મદદ કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સંઘના સ્વયંસેવકો પોતાને સંક્રમણથી બચાવતા કોરોના અસરગ્રસ્ત લોકોની સેવામાં 24 કલાક માટે તૈયાર રહેશે. ટ્વિટર પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેને ઘણા ઓફિસીયલ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ મેસેજ પ્રમાણે સ્વયંસેવકોમાં સમન્વય જાળવવા માટે, દેશના તમામ પ્રાંત અને પ્રદેશોમાં એક વડાની નિમણુંક કરવામાં આવી છે. તેમજ તેમના સંપર્ક નંબર પણ આપવામાં આવ્યા છે. લગભગ 60 લોકોના નંબરને જાહેર કરવામાં આવ્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સ્વયંસેવકો મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં લોકોને મદદ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા સમગ્ર કાર્ય પર નજર રાખવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય સેવા ભારતી મહામંત્રી શ્રવણ કુમારે કહ્યું કે જરૂરિયાત મુજબ સ્વયંસેવકો પર અલગતા કેન્દ્રો સ્થાપવા પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. વહીવટના સહયોગથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ઘણા અલગ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. વિદ્યા ભારતીની ઘણી શાળાઓ આ માટે ઉપલબ્ધ કરાઈ છે. મધ્ય પ્રદેશમાં 11 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. દિલ્હીમાં પણ એક કેન્દ્ર સ્થાપવાની તૈયારી ચાલી રહી છે. આ કેન્દ્રો પર સેવા માટે સ્વયંસેવકો 24 કલાક માટે તૈયાર રહેશે. આ કેન્દ્રોને કોઈના કોઈ હોસ્પિટલ સાથે ટેગ કરવામાં આવશે. સ્વયંસેવકો દવાઓ, ખોરાક, ઓક્સિજન વગેરે પ્રદાન કરવા માટે કાર્ય કરશે.