સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પેપરલીકકાંડ બાદ હવે વધુ તકેદારી, પરીક્ષામાં વોટરમાર્ક સાથેના પ્રશ્નપત્રો મોકલાશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવતીકાલ તા.9મીથી જુદી જુદી વિદ્યાશાખાઓની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા 110 કેન્દ્ર ઉપર યુનિવર્સિટીના 42,099 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અગાઉની પરીક્ષામાં પેપર લીકની ઘટના બન્યા બાદ સત્તાધીશો જાણે જાગ્યા હોય આ વખતે પરીક્ષામાં સૌથી વધુ તકેદારી રાખવામાં આવશે.પરીક્ષાર્થીને વોટરમાર્કવાળા પ્રશ્નપત્ર મોકલવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ પરીક્ષા દરમિયાન પેપેર ફૂટી જતાં યુનિના સત્તાધિશો પર માછલા ધોવાયા હતા. અગાઉની પરીક્ષામાં પેપર લીકની ઘટનાને પગલે આ પરીક્ષામાં QPDS (ક્વેશ્નન પેપર ડિલિવરી સિસ્ટમ) લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને તેને અમલી કરવા પણ તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ યુનિવર્સિટીની કાલથી શરૂ થતી પરીક્ષામાં કોમર્સ સિવાયની ફેકલ્ટીમાં જ QPDS સિસ્ટમ લાગુ કરવા પ્રાથમિક ધોરણે તૈયારી ચાલી રહી છે. કારણ કે, કોમર્સના કેટલાક પેપરના પેજ વધુ માત્રામાં હોવાથી જે તે પરીક્ષા કેન્દ્ર પર ઓછા સમયમાં પ્રિન્ટ કાઢવી શક્ય નહીં હોવાને કારણે કોમર્સના પેપર યુનિવર્સિટી રૂબરૂ મોકલશે.
સૂત્રોએ ઉમેર્યુવ હતું કે, કાલે બુધવારથી 110 કેન્દ્ર પર શરૂ થઇ રહેલી પરીક્ષામાં બીએસસી સેમેસ્ટર-3, બીબીએ સેમેસ્ટર-3, બીપીએ, બીએસસી આઈટી, બીએ, એમએ, એમબીએ, એલએલએમ સેમેસ્ટર-3ના પેપર જે-તે પરીક્ષા કેન્દ્રો ઉપર ઈ-મેલ મારફત એક કલાક પહેલાં જ મોકલાશે. જ્યારે 26,294 વિદ્યાર્થી કોમર્સ ફેકલ્ટીના છે. જેમાં બી.કોમ સેમેસ્ટર-3ના રેગ્યુલરના 21,759 વિદ્યાર્થી અને એક્સટર્નલના 1012, એમ.કોમ સેમેસ્ટર-3ના રેગ્યુલરના 1194 વિદ્યાર્થી અને એક્સટર્નલના 2329 વિદ્યાર્થીને રૂબરૂ પેપર મોકલવામાં આવશે. આ વખતે વોટરમાર્ક સાથેના પ્રશ્નપત્રો મોકલવાના હોવાથી પેપર લીક થાય તો ક્યાં કેન્દ્ર કે કોલેજમાંથી થયું તેની જાણ થઇ શકશે તેવું યુનિવર્સિટીના અધિકારીઓ દાવો કરી રહ્યા છે.