ધર્મ પરિવર્તન કરનારને નહીં મળે એસસી કેટેગરીનું રિઝર્વેશન, સુપ્રીમ કોર્ટનો આદેશ
નવી દિલ્હી, 27 જુલાઈ 2026: દેશની સર્વોચ્ચ અદાલતે ધર્માંતરણને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના અગાઉના એક નિર્ણય પર પુનર્વિચાર કરવાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો અનુસૂચિત જાતિ (SC) સમુદાય સાથે જોડાયેલી કોઈ વ્યક્તિ હિન્દુ, શિખ કે બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ અપનાવે છે, તો ધર્માંતરણના સચોટ ક્ષણથી જ તેનું એસસી કેટેગરીનું સ્ટેટસ એટલે કે અનામતનું ધોરણ આપમેળે સમાપ્ત થઈ જશે.
મળતી માહિતી મુજબ, જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે ગત 24 માર્ચના રોજ આપવામાં આવેલા ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશન (પુનર્વિચાર અરજી) પર સુનાવણી હાથ ધરી હતી. બેન્ચે આ અરજીને ફગાવતા નોંધ્યું હતું કે કોર્ટના રેકોર્ડ પર એવી કોઈ સ્પષ્ટ કે પ્રથમ દ્રષ્ટિએ દેખાતી ત્રુટિ નથી, જેના આધારે અગાઉના નિર્ણયની સમીક્ષા કરી શકાય. 15 જુલાઈના રોજ જારી કરવામાં આવેલા પોતાના આદેશમાં બેન્ચે જણાવ્યું હતું કે, “પુનર્વિચાર અરજી પર મૌખિક સુનાવણીની માંગણી કરતી અરજીને રદ કરવામાં આવે છે. અમે રિવ્યુ પિટિશન પર ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે અને 24 માર્ચના રોજ આપવામાં આવેલા મૂળ ચુકાદાનો અભ્યાસ કર્યો છે. રેકોર્ડ પર કોઈ ભૂલ ન હોવાથી આ અરજી ફગાવવામાં આવે છે.”
-
સર્વોચ્ચ અદાલતે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના એ આદેશને પણ યથાવત રાખ્યો
સુપ્રીમ કોર્ટે પોતાના 24 માર્ચના ઐતિહાસિક ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, અનુસૂચિત જાતિ વર્ગમાં જન્મેલી વ્યક્તિ જો હિન્દુ, શિખ કે બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ અંગીકાર કરે છે, તો તેનો જન્મ ભલે ગમે તે એસસી જાતિમાં થયો હોય, પરંતુ ધર્માંતરણ થતાંની સાથે જ તેનું એસસી સ્ટેટસ કાયમ માટે રદ થઈ જશે. આ સાથે જ અદાલતે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના એ આદેશને પણ યથાવત રાખ્યો છે, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે એસસી સમુદાયની કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ તક્ષકાળ અને સંપૂર્ણ રીતે પોતાની અનુસૂચિત જાતિની ઓળખ અને તેના લાભો ગુમાવી બેસે છે.
ઉચ્ચતમ ન્યાયાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે બંધારણ (અનુસૂચિત જાતિઓ) આદેશ, 1950 હેઠળ મળતા કલ્યાણકારી લાભોનો દાવો કોઈ વ્યક્તિ ત્યારે જ કરી શકે છે, જ્યારે તે વાસ્તવિક અને કાયદાકીય રીતે તે જ સમુદાય સાથે જોડાયેલો રહે. જો ધર્માંતરણ અથવા લાંબા સમય સુધી પરંપરાગત રીતિ-રિવાજોના ત્યાગને કારણે તેની સામાજિક ઓળખ સંદિગ્ધ બને છે, તો તે કાયદાકીય મુકાદમા દરમિયાન પુરાવાઓના આધારે નક્કી કરવામાં આવશે.
-
નવા ધર્મની પ્રથાઓ અપનાવવાથી ગુમાવવી પડશે ઓળખ
કોર્ટે અગાઉ નોંધ્યું હતું કે, “બંધારણના અનુસૂચિત જાતિ આદેશ, 1950 ની કલમ 3 હેઠળ લાદવામાં આવેલો આ પ્રતિબંધ એકદમ સ્પષ્ટ અને પરિપૂર્ણ છે. નિર્ધારિત ધર્મો સિવાય અન્ય કોઈ માર્ગ અપનાવનાર વ્યક્તિને એસસી કેટેગરીના સભ્ય તરીકે સ્વીકારી શકાતી નથી.” કોર્ટે ઉમેર્યું હતું કે જો એ સાબિત થઈ જાય કે સંબંધિત વ્યક્તિએ પોતાની મૂળ જાતિના રીતિ-રિવાજો, પરંપરાઓ અને વિશિષ્ટ વિશેષતાઓનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો છે અને નવા ધર્મની પ્રથાઓને સંપૂર્ણપણે અપનાવી લીધી છે, તો તે સ્પષ્ટ નિષ્કર્ષ પર પહોંચી શકાય કે તે વ્યક્તિ હવે તે સમુદાયનો ભાગ રહી નથી.


