શાળા સંચાલકોની 49 ટકા ફી વધારાની માગ, FRCએ 7 વર્ષથી ફીમાં વધારાને મંજુરી નથી આપી
અમદાવાદઃ ગુજરાતમાં ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓની ફી નક્કી કરવા માટે ફી રેગ્યલેટરી કમિટી બનાવવામાં આવી છે. જે શાળાઓનો ખર્ચ વગેરેનો અભ્યાસ કર્યા બાદ ફી નક્કી કરવામાં આવતી હોય છે. જો કે સ્કુલ સંચાલકોની એવી ફરિયાદ છે. કે છેલ્લા સાત વર્ષથી એફઆરસીએ ફી વધારાને મંજુરી આપી નથી. દર વર્ષે સરેરાશ સાત ટકા વધારાને મંજુરી મળવી જોઈએ. તે જોતા સાત વર્ષથી ફી વધારો કરાયો ન હોવાથી 49 ટકા વધારો મળવો જોઈએ, શાળા સંચાલકોની મળેલી બેઠકમાં ફી વધારાના પ્રશ્ને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 49 ટકા ફી વધારાને મંજુરી આપવામાં આવે એવી માગ કરવામાં આવી હતી.
અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળની બેઠક શનિવારના રોજ મળી હતી. આ બેઠકમાં ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં કેટલાક પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાનગી સ્કૂલોમાં FRC આવી ત્યારથી ફી વધારો થયો નથી, જેની સામે સરકાર ગ્રાન્ટેડ સ્કૂલોમાં 7 ટકા ફી વધારો દર વર્ષે સરકાર આપશે તો FRCના 7 વર્ષ થતાં દર વર્ષે 7 ટકા ફી વધારો એમ 49 ટકા ફી વધારો આપવા સંચાલકોએ માંગ કરી હતી. આ ઉપરાંત ગ્રાન્ટેડ સ્કૂલોમાં અનેક જગ્યાઓ ખલી છે. જેમાં જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી કરીને ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત વહિવટી ક્ષેત્રે પણ અનેક જગ્યાઓ ખાલી છે. તેથી કાયમી શિક્ષક, ગ્રંથપાલ, ક્લાર્ક સહિતની ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળની બેઠક શનિવારે એરોમા સ્કૂલ ઉસ્માનપુરા ખાતે મીટીંગ મળી હતી. જેમાં 150થી વધુ સંચાલકોએ હાજરી આપી હતી. આ બેઠકમાં એવી ચર્ચા કરવામાં આવી હતી કે, FRC જે ફી સાત વર્ષથી વધારાને મંજુરી આપતી નથી. આથી 7 વર્ષ પ્રમાણે 49 ટકા લેખે હાલની ફીમા વધારો આપવો જોઈએ. આ સંદર્ભે આગામી દિવસોમાં સરકાર પાસે માંગ કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની તાકીદે કાયમી ભરતી કરવી , ક્લાર્ક પટાવાળા ગ્રંથપાલની ભરતી ગ્રાન્ટ ઇન કોડ પસંદગી સમિતિ અનુસાર ભરતી કરવી, ફી વિકલ્પ વાળી સ્કૂલોમાં ફીમાં વધારો કરવો, લઘુમતી શાળાના પ્રશ્ર્નોનો નિકાલ કરવા,ગ્રાન્ટેડ શાળામાં વર્ગદીઠ વિધાર્થી સંખ્યા ઘટાડવી,સંગઠનને મજબુત બનાવવું,ગ્રાન્ટના સ્લેબમા વધારો કરવો, ગ્રાન્ટ રિકવરી નંબરની વગેરે ઠરાવો થયા હતા. આ બેઠકમાં રાજ્ય મહામંડળનાના પ્રમુખ ભાસ્કર પટેલ, પ્રવક્તા પંકજ પટેલ, ઉપપ્રમુખ અમૃત ભરવાડ, રમેશ અમીન શહેરના મંત્રી નીતિન પટેલ રાજ્ય મહિલા કન્વીનર ધારીણી શુક્લ વગેરે હાજર રહ્યા હતા. આ તમામ ઠરાવ હવે સરકાર સમક્ષ મૂકવામાં આવશે. આ તમામ પડતર પ્રશ્નોનાં નિરાકરણ માટે સરકારને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો.