ચોંકાવનારો ખુલાસો: ભારતીયોમાં વિટામિન્સની ઉણપ વધારી રહી છે ભૂલવાની બીમારીનું જોખમ
ભારતીય તબીબી સંશોધન પરિષદ – રાષ્ટ્રીય પોષણ સંસ્થાના તાજેતરના એક સંશોધનમાં ખૂબ જ ચિંતાજનક બાબત સામે આવી છે. ભારતીયોમાં કેટલાક ખાસ વિટામિન્સની ઉણપ એક મોટી સમસ્યા બની રહી છે, જે મગજની શક્તિને નબળી પાડીને ‘ડિમેન્શિયા’ના જોખમને અનેક ગણું વધારી દે છે. અહેવાલ અનુસાર, ભારતમાં આ ગંભીર બીમારીના કેસો ઝડપથી વધી રહ્યા છે અને હવે લોકો નાની ઉંમરે જ તેનો શિકાર બની રહ્યા છે. વૈજ્ઞાનિકોના મતે, શરીરમાં માત્ર વિટામિન B12 જ નહીં, પરંતુ વિટામિન B6, B2 અને વિટામિન D ની ઉણપ પણ મગજના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે.
ડિમેન્શિયા એ મગજ સાથે જોડાયેલી એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિની યાદશક્તિ ધીમે-ધીમે ઓછી થવા લાગે છે. આ બીમારીમાં માણસની વિચારવાની ક્ષમતા, તેના સ્વભાવ અને રોજિંદા કાર્યો કરવાની કુશળતા પર માઠી અસર પડે છે. સામાન્ય રીતે આ ઉંમર વધવાની સાથે થતો રોગ છે, પરંતુ ખરાબ લાઇફસ્ટાઇલ અને પોષણના અભાવે હવે યુવાનો પણ આનો ભોગ બની રહ્યા છે.
-
શું કહે છે સંશોધન?
પ્રતિષ્ઠિત જર્નલ ‘ધ લેન્સેટ રિજનલ હેલ્થ – સાઉથ ઈસ્ટ એશિયા’ માં પ્રકાશિત આ સંશોધનમાં તેલંગાણાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોના 40 થી 80 વર્ષની વયના 570 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. સંશોધકોએ તેમના મગજનું સ્વાસ્થ્ય, ખાણી-પીણીની આદતો અને લોહીમાં વિટામિન્સના સ્તરની ઝીણવટભરી તપાસ કરી હતી.
40% લોકો પર જોખમ: સંશોધનમાં સામેલ આશરે 40 ટકા લોકોમાં યાદશક્તિ ગુમાવવાનું જોખમ ઘણું વધારે જોવા મળ્યું હતું.
વિટામિન્સની ઉણપ મુખ્ય કારણ: જે લોકોમાં આ બીમારીનું જોખમ વધુ હતું, તેમના શરીરમાં વિટામિન D, B2, B6 અને B12 ની ભારે ઉણપ જોવા મળી હતી.
ખરાબ ખોરાક જવાબદાર: સતત બિનઆરોગ્યપ્રદ ખોરાક લેવો, આહારમાં સેચ્યુરેટેડ ફેટ (ચરબી) નું પ્રમાણ વધુ હોવું અને પોષક તત્વોની ઉણપ આ સ્થિતિ માટે મુખ્યત્વે જવાબદાર છે.
આનાથી વિપરીત, જે લોકો નિયમિતપણે ફળો, લીલા શાકભાજી અને માઇક્રોન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર ખોરાક લેતા હતા, તેમનામાં ડિમેન્શિયાનું જોખમ ખૂબ જ ઓછું જોવા મળ્યું હતું. જો કે ડિમેન્શિયા પાછળ આનુવંશિક કારણો પણ જવાબદાર હોય છે, પરંતુ નિષ્ણાતોના મતે ડાયાબિટીસ, મેદસ્વીતા (મોટાપો), હાઈ બ્લડ પ્રેશર, ધૂમ્રપાન અને શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ (બેઠાડું જીવન) આ જોખમને બમણું કરી દે છે.
ICMR-NIN ના સંશોધકોની સલાહ અનુસાર, “વર્ષ 2050 સુધીમાં ભારતમાં ડિમેન્શિયાના કેસોમાં અભૂતપૂર્વ ઉછાળો આવી શકે છે. આથી, અત્યારથી જ તેની રોકથામ પર ધ્યાન આપવું અનિવાર્ય છે. સંતુલિત અને પોષક તત્વોથી ભરપૂર આહાર, જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની યોગ્ય માત્રા તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને લાંબા સમય સુધી મગજને સ્વસ્થ રાખી શકાય છે.”


