વિધાનસભા ચૂંટણીમાં જીતેલા ભાજપના સાંસદ નરેન્દ્ર સિંહ તોમર સહિત 10 સાંસદો એ આપ્યું રાજીનામું
દિલ્હી –ચાર રાજ્યોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનારા તમામ ભાજપના સાંસદોએ રાજીનામું આપી દીધું છે. પાર્ટીએ આ સાંસદો અને મંત્રીઓને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપી હતી. ભાજપે કુલ 21 સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા.
જાણકારી અનુસાર ભાજપે વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશમાંથી સાત સાંસદોને ટિકિટ આપી હતી, જેમાંથી પાંચ સાંસદો પોતાની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા જ્યારે બે સાંસદોને હારનો સામનો કરવો પડ્યો હતો.
વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનાર ભારતીય જનતા પાર્ટીના 12 સાંસદોમાંથી 10એ બુધવારે સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોએ જણાવ્યું કે અન્ય બે સાંસદો પણ ટૂંક સમયમાં રાજીનામું આપશે.
રાજીનામું આપનારા 10 સાંસદોમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ પટેલ સહિત નવ લોકસભા અને એક રાજ્યસભાના સભ્યનો સમાવેશ થાય છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે અન્ય બે સાંસદો, કેન્દ્રીય મંત્રી રેણુકા સિંહ અને મહંત બાલકનાથ પણ લોકસભામાંથી રાજીનામું આપશે.
આ પગલું મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીઓની પસંદગી કરવાની પાર્ટી નેતૃત્વની પ્રક્રિયાનો એક ભાગ છે. રાજીનામું આપનારા અન્ય સાંસદોમાં દિયા કુમારી, રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને રાકેશ સિંહનો સમાવેશ થાય છે.
બીજી તરફ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં જીતેલા રાજ્યવર્ધન રાઠોડ અને કિરોરી લાલ મીણાના રાજીનામાના સમાચાર પણ સામે આવ્યા છે. બાબા બાલકનાથ અને દિયા કુમારી પણ રાજીનામું આપવાના હતા પરંતુ તેઓ આવ્યા ન હતા.
રાજસ્થાનમાં ચાર સાંસદો જીત્યા રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ સાત સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી ચાર સાંસદો સફળ રહ્યા હતા જ્યારે ત્રણને હારનો સામનો કરવો પડ્યો હતો. બાબા બાલકનાથ, દિયા કુમારી, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કિરોરી લાલ મીણા વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. જ્યારે ભગીરથ ચૌધરી, નરેન્દ્ર ખીચડ અને દેવજી પટેલને હારનો સામનો કરવો પડ્યો હતો.