આંબેડકર ઑપન યુનિવર્સિટીમાં ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ વિષયક પ્રેરક કાર્યક્રમ યોજાયો
અમદાવાદ, 13 એપ્રિલ, 2026 – Nari Shakti Vandana Act ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા તા. 13/04/2026ના રોજ ગૌતમ હૉલ ખાતે યુનિવર્સિટીના માનનીય કુલગુરુ પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયના પ્રેરણાદાયક માર્ગદર્શન હેઠળ “નારી શક્તિ વંદન અધિનિયમ” વિષયક વિશેષ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ શાસનવ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી અને તેમના પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવાનો હતો, જે “વિકસિત ભારત 2047”ના વિઝન સાથે પૂર્ણપણે સુસંગત છે. આ સદર કાર્યક્રમનો મૂળ આશય સહભાગીઓને અનુકલ્પિત ચર્ચાઓ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરવાની તથા લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં રહેલી લિંગઆધારિત અસમાનતા સંબંધિત મુદ્દાઓ પર ગહન ચર્ચા અને મનન કરવાની તક પૂરી પાડવાનો હતો.

કાર્યક્રમનો મંગલ આરંભ દીપપ્રાગટ્યથી કરવામાં આવ્યો. ત્યારબાદ માનનીય કુલગુરુશ્રીએ મંચસ્થ મહાનુભાવોને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. સ્ટુડન્ટ ડેવલપમેન્ટ વિભાગના નિયામક ડૉ. નિશા જોષી દ્વારા સૌ અતિથિઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
આ પણ વાંચોઃ ભારતીય કથન અંગે આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં યોજાયો પરિસંવાદ
માનનીય કુલપતિ પ્રોફ. અમી ઉપાધ્યાયે અધ્યક્ષીય ઉદ્બોધનમાં યુનિવર્સિટીની પ્રગતિમાં મહિલા કર્મચારીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને બિરદાવી હતી. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યની નેતૃત્વશીલ ભૂમિકાઓ માટે સજ્જ થવા પ્રેરણા પૂરી પાડી હતી.
આ અર્થપૂર્ણ ઉપક્રમમાં મહિલા ગ્રામસેવા વિદ્યાપીઠ, નારદીપુરનાં પ્રભારી આચાર્યા મંજુલાબેન પડવી તથા નિવૃત્ત પ્રોફ. ડૉ. રાજેશભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપક્રમમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી વિદ્યાર્થી સંસદમાં ભાગ લઈ વિજેતા થયેલી ત્રણ પ્રતિભાશાળી વિદ્યાર્થિનીઓને વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવી હતી. આ સત્રમાં શ્રી રાજવી કડિયા, શ્રી દૃષ્ટિ કામળિયા અને શ્રી ખેવાની જોષીએ પોતાના પ્રેરક વિચારો રજૂ કર્યા હતા.
નોંધનીય છે કે, તેઓએ AIU દ્વારા આયોજિત 4th National Women Student Parliamentમાં યુનિવર્સિટીનું સફળ પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમનાં પ્રભાવશાળી વક્તવ્યોએ રાષ્ટ્રીય સ્તરે યુવા મહિલાઓની વધતી જતી નેતૃત્વક્ષમતા અને તેમની સક્રિય ભૂમિકાને સ્પષ્ટ કરી હતી. રાજવી કડિયાએ મહિલાઓને આત્મવિશ્વાસ સાથે આગળ આવવા અને વૈશ્વિક તથા રાષ્ટ્રીય બાબતોમાં સમાન ભાગીદારી નોંધાવવા આહ્વાન કર્યું હતું.
આ પણ વાંચોઃ ભારતની મહિલા શક્તિએ અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે: પ્રધાનમંત્રી
દૃષ્ટિ કામળિયાએ યુવા મહિલા નેતાઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં વરિષ્ઠ સભ્યો—પુરુષ અને મહિલા બંનેની—અગત્યની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. જ્યારે ખેવાની જોષીએ પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી મહિલાઓની ભાગીદારી અંગેનું તુલનાત્મક વિશ્લેષણ રજૂ કરીને તેને “નારી શક્તિ વંદન અધિનિયમ”ના મહત્ત્વ સાથે સાંકળ્યું હતું. ત્રણેય વિદ્યાર્થિનીઓએ પોતાના અનુભવોનું આદાનપ્રદાન કર્યું, જેનાથી અન્ય વિદ્યાર્થીઓને આવા રાષ્ટ્રીય મંચ પર સક્રિયપણે ભાગ લેવાની પ્રેરણા મળી હતી.
કાર્યક્રમમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓ તેમજ યુનિવર્સિટીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન શ્રીમતી નેહા ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી મહિલા સશક્તીકરણ, નેતૃત્વ અને જાગૃતિને પ્રોત્સાહન મળવાની સાથે-સાથે વિદ્યાર્થીઓમાં એક પ્રેરણાદાયક સંવાદનું સર્જન થયું. એકંદરે, આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો અને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે એક ઉત્કૃષ્ટ પ્રેરણાસ્રોત બની રહ્યો.


