અમદાવાદ, 17 એપ્રિલ 2026: PM Modi and Amit Shah will come to Gujarat ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26મી એપ્રિલનો રોજ યોજાશે. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ મતદાન માટે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. દરેક ચૂંટણીમાં આ મહાનુભાવો મતદાન માટે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપ વિસ્તારમાં મતદાન કરવા આવી શકે છે. તેમના મતદાનને ધ્યાનમાં રાખીને સુરક્ષા-વ્યવસ્થાને વધુ કડક બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. તે જ રીતે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરંગપુરા વિસ્તારમાં મતદાન કરશે. જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઘાટલોડિયા વિસ્તારમાં મતદાન કરશે. આ ઉપરાંત મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલ નવસારી ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, સી. આર. પાટીલ અને નિમુબેન બાંભણિયા પણ પોતાના મતક્ષેત્રોમાં હાજર રહી મતદાન કરશે અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવશે. બીજી તરફ રાજ્યમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે મતદાન ટકાવારીને લઈને ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે, પરંતુ આવા સંજોગોમાં દેશના ટોચના નેતાઓ સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઉભા રહી મતદાન કરે તે યુવા અને પ્રથમવાર મતદારો માટે પ્રેરણાદાયક બનશે. દિગ્ગજ નેતાઓની આ હાજરી સ્પષ્ટ સંદેશ આપે છે કે, લોકશાહીમાં એક-એક મત અમૂલ્ય છે.
દિગ્ગજ નેતાઓના મતદાનને લઈને રાજ્યમાં મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી આયોગ દ્વારા મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.


