Site icon Revoi.in

સવારની શરૂઆત કરો આમળા-હળદરના પાણીથી: શરીર બનશે એનર્જીથી ભરપૂર

Social Share

આ ભાગદોડભર્યા જીવનમાં દરેક વ્યક્તિ સવારના સમયે ખૂબ જ વ્યસ્ત રહે છે. કામકાજના તણાવ વચ્ચે શરીર અને મનને તાજગી આપવી મુશ્કેલ બની જાય છે. પરંતુ આયુર્વેદ કહે છે કે દિવસની શરૂઆત જો યોગ્ય રીતે કરવામાં આવે તો આખો દિવસ ઉર્જાસભર અને સકારાત્મક બની શકે છે. શિયાળો નજીક આવી રહ્યો છે અને આ ઋતુમાં આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયી ગણાય છે. જો તમે સવારની શરૂઆત આમળાના પાણીમાં હળદર મિક્સ કરીને કરો, તો શરીરને અનેક રીતે ફાયદો થાય છે. આ હેલ્ધી ડ્રિંક સરળ હોવા છતાં તેમાં એવા પોષક તત્ત્વો સમાયેલાં છે જે ઈમ્યુનિટી, સ્કિન, પાચનક્રિયા અને મૂડ બધું જ સુધારી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે સવારે વહેલી 5 વાગ્યાની આસપાસ ખાલી પેટે તેને પીવું સૌથી અસરકારક રહે છે, કારણ કે તે સમયે શરીર પોષક તત્ત્વોને સારી રીતે શોષી લે છે.

ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે કારગરઃ આમળા વિટામિન ‘સી’થી ભરપૂર છે, જે શરીરને રોગોથી રક્ષણ આપે છે. હળદરમાં રહેલા એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણધર્મો શરીરને અંદરથી મજબૂત બનાવે છે. બંનેનું સંયોજન દરરોજ સવારે શરીરને નૈસર્ગિક સુરક્ષા કવચ પૂરું પાડે છે, જે આખો દિવસ તમને તંદુરસ્ત રાખે છે.

ત્વચાને ચમકદાર બનાવે છેઃ જો તમે મોંઘા પ્રોડક્ટ્સ વિના નેચરલ ગ્લો ઈચ્છો છો, તો આ ડ્રિંક સર્વોત્તમ વિકલ્પ છે. આમળા શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરીને રક્ત શુદ્ધ કરે છે, જ્યારે હળદર રક્તપ્રવાહ સુધારે છે. આ કારણે સ્કિન અંદરથી સ્વચ્છ, તેજસ્વી અને ગ્લોઈંગ બને છે.

શરીરને ડિટોક્સ કરે છેઃ આમળા અને હળદરનું પાણી શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢવામાં અને લીવર સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે. સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી શરીર હળવું અને એનર્જેટિક લાગે છે.

પાચનક્રિયામાં સુધારો કરે છેઃ એસિડિટી, ગેસ કે પેટ ફૂલવાની સમસ્યા હોય તો આ ડ્રિંક ખૂબ રાહત આપે છે. તે પાચનક્રિયાને સુધારે છે, આંતરડાને સ્વસ્થ રાખે છે અને હાર્ટબર્ન ઘટાડે છે. જ્યારે પેટ આરામમાં હોય, ત્યારે મૂડ અને સ્કિન બંને સારા રહે છે.

ફોકસમાં સુધારો લાવે છેઃ હળદરમાં રહેલું કર્ક્યુમિન તણાવ ઘટાડે છે, મૂડ સુધારે છે અને મગજને સક્રિય રાખે છે. આમળાનો તાજો ખાટો સ્વાદ સવારે મનને પ્રફુલ્લિત કરી દિવસભર પોઝિટિવ એનર્જી આપે છે.

Exit mobile version