1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર જિલ્લામાં 51,700 હેકટરમાં ઉનાળું વાવેતર પૂર્ણ, બાજરીના વાવેતરમાં 24 ટકાનો વધારો

ભાવનગર જિલ્લામાં 51,700 હેકટરમાં ઉનાળું વાવેતર પૂર્ણ, બાજરીના વાવેતરમાં 24 ટકાનો વધારો

0
Social Share

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે આ વખતે ઉનાળામાં પણ સિંચાઈ માટેના પાણીની સમસ્યા વિકટ બને તેવું લાગતું નથી તેથી ઉનાળું પાકના વાવેતરમાં વધારો થઈ રહ્યો છે.ગત વર્ષેની તુલનામાં આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. માવઠાના માહોલ બાદ ગરમીની સિઝનમાં વાવેતરમાં વૃદ્ધિ થઇ છે. ગત વર્ષે આ સમયગાળામાં ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકનું વાવેતર 47,700 હેકટરમાં હતુ તે આ વર્ષે 4 હજાર હેકટર વધીને 51,700 હેકટર થઇ ગયું છે. એમાં બાજરીના વાવેતરમાં 24 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. જિલ્લામાં ગત વર્ષે બાજરીનું આ સમયગાળામાં વાવેતર 6600 હેકટર હતુ તે આ વખતે વધીને 8200 હેકટર થઇ ગયું છે.

જિલ્લાના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાણીનો પુરતો જથ્થો હોવાથી ઉનાળા દરમિયાન તળાજા અને મહુવા વિસ્તારના કમાન્ડ વિસ્તારને સિંચાઈ માટે પુરતું પાણી આપી શકાશે. આ ઉપરાંત જ્યાં કેનાલો કે નહેરોની સુવિધા નથી એવા શિહોર, પાલિતાણા, વલ્લભીપુર, અને રંધોળા સહિતના વિસ્તારોમાં બોર અને કૂવામાંથી સિંચાઈ માટે પાણી મળી રહે તેમ છે. એટલે આ વખતે ઉનાળું વાવેતરમાં વધારો થયો છે. જેમાં જિલ્લામાં મગફળીનું વાવેતર 7900 હેકટર થયું છે. જે સમગ્ર ગુજરાતમાં સર્વાધિક છે.ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના વાવેતરમાં પણ ભાવનગર જિલ્લો અવ્વલ ક્રમાંકે છે. સમગ્ર રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 9000 હેકટરમાં થયુ઼ છે તે પૈકી 65.55 ટકા એટલે કે 5900 હેકટર વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકના વાવેતરમાં મુખ્ય પાક મગફળી, ડુંગળી, બાજરી અને તલ હોય છે. જેમાં ઉનાળા આરંભે જ ગરમી પડવા લાગી છે અને જળાશયોમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં પાણી ભરાયેલું છે ત્યારે ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી શરૂ કરી દીધી છે. જેમાં બાજરી, મગફળી અને તલ મુખ્ય છે. સાથે શાકભાજી અને મગ પણ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code