અહો આશ્ચર્યમ્: કેરળમાં શ્વાન સાથે બિલાડીઓએ પણ મચાવ્યો આતંક
- વર્ષ 2016માં 1.60 લાખ લોકોને કરડી હતી બિલાડીઓ
- પાંચ વર્ષમાં આંકડો વધીને 2.20 લાખ ઉપર પહોંચ્યો
- એક વર્ષમાં હડકવા ઉપડવાથી પાંચ વ્યક્તિના મોત
બેંગ્લોરઃ અમદાવાદ સહિત દેશના વિવિધ રાજ્યોમાં રસ્તા ઉપર પસાર થતા વાહનની સાથે શેરી શ્વાનનો ત્રાસ હોવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. રસ્તા ઉપર રખડતા શ્વાન વાહન સાથે રેસ લગાવતા હોય તેમ દોડ લગાવે છે. તેમજ કેટલીકવાર કરડવાના પણ બનાવો બને છે. પરંતુ કેરલાની પરિસ્થિતિ કંઈક જુદી જ છે. કેરલામાં શ્વાન કરતા બિલાડીના ત્રાસથી લોકો ભયભીત થઈ ગયા હોવાનું જાણવા મળે છે. એક જ મહિનામાં 28000 લોકોને બિલાડીઓ કરડી હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં હડકવા ઉપડવાના કારણે એક વર્ષમાં પાંચ વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે.
સરકારના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક વર્ષોથી શ્વાન કરતા બિલાડીઓ કરડવાથી સારવાર લેવા માટે આવતા લોકોની સંખ્યા વધી છે. જાન્યુઆરી મહિનામાં શ્વાન કરડવાના 20000 અને બિલાડીઓએ બચકુ ભર્યુ હોય તેવા 28000 કેસ નોંધાયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, 2016માં બિલાડીઓ કરડી હોવાના 1.60 લાખ જેટલા કિસ્સા નોંધાયા હતા અને 2020માં આ આંકડો વધીને 2.20 લાખ પર પહોંચી ચુક્યો છે. આમ પાંચ વર્ષમાં બિલાડી કરડવાની ઘટનાઓમાં 128 ટકાનો વધારો નોંધાયો છે. સરકારી આંકડા પ્રમાણે 2016માં શ્વાન કરડવાના 1.25 લાખ કેસ નોંધાયા હતા અને 2020માં આવા 1.6 લાખ કેસ સામે આવ્યા હતા. હડકવાના કારણે પાંચ લોકોના ગયા વર્ષે મોત પણ થયા હતા.