પંચમહાલની ફેકટરીમાં લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 5 ઉપર પહોંચ્યો
અમદાવાદઃ મધ્યગુજરાતના પંચમહાલમાં એક ફેકટરીમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને પાંચ ઉપર પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. બચાવ અને રાહતકાર્ય દરમિયાન વધુ બેનાં મૃતદેહ મળી આવ્યા હતા. વડોદરાની એસડીઆરએફની 10 સભ્યોની ટિમ પ્લાન્ટમાં સર્ચ ઓપરેશન કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલમાં રણજીતનગર સ્થિત એક કંપનીમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા. દરમિયાન અચાનક આગની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. દરમિયાન બ્લાસ્ટ પણ થયો હતો. જેથી આસપાસની કંપનીમાં ફફડાટ ફેલાયો હતો. સેફ્ટી કીટ પહેરીને ફાયરની ટીમો કંપનીની અંદર પ્રવેશી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને 5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બચાવ કામગીરી દરમિયાન બે મૃતદેહ મળી આવ્યાં હતા. આ બનાવમાં 20 વ્યક્તિઓ દાગી ગઈ હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જે પૈકી એકની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ફેકટરીમાં આગ કેવી રીતે લાગી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.