અમદાવાદ : શહેરમાં કોરોના કેસ કંટ્રોલમાં છે. ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલ દ્વારા મહત્વનો નિર્ણય કરવા આવ્યો છે. દર્દીઓની સારવાર માટે હવે સવારની ઓ.પી.ડી.ની સાથે સાથે સાંજની ઓપીડી પણ સોમવારથી બપોરે 2થી 4 કલાકે પૂર્વવત કાર્યરત કરવામાં આવશે. કોરોના કેસ ઘટ્યા છે પરંતુ અન્ય રોગચાળાનો ભરડો વધ્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય કેસમાં વધારો થયો છે. ઓપીડીમાં રોજના 3 હજાર કેસ નોંધાઇ રહ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુત્રોએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં રાજ્ય અને દેશભરમાંથી દર્દીઓ સારવાર અર્થે ઓ.પી.ડી.ની મુલાકાત લેતા હોય છે. દર મહિને અંદાજે 90 હજારથી વધુ ઓપીડીની સંખ્યા રહેતી હોય છે. સામાન્ય રીતે સવારે 9 થી 1 અને બપોરે 2 થી 4ના સમયગાળામાં દર્દીની સારવાર અને તપાસ માટે ઓપીડી કાર્યરત રહે છે. કોરોનાની બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ધસારો જોવા મળતા સાંજની ઓ.પી.ડી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે સોમવારથી સવારની સાથોસાથ જ સાંજની ઓપીડી પણ દર્દીઓ માટે કાર્યરત રહેશે. જે રાજ્ય અને રાજ્ય બહારથી આવતા દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો કરશે. સમગ્ર વિશ્વમાં જ્યારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા હતા ત્યારે પરિસ્થિતિને ધ્યાને લઇને મેડીકલ ક્ષેત્રે ઘણા પરિવર્તન હાથ ધરવામાં આવ્યા હતા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમગ્રદેશભરમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. દેશ પર એકાએક આવી પડેલી મહામારીને ધ્યાને લઇને સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળમાં સાંજની ઓપીડી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો. મેડિકલ, પેરામેડિકલના મોટાભાગના કર્મીઓ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા હોવાથી ઓ પી ડી બંધ કરાઈ હતી. પરંતુ હવે કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. જેને ધ્યાનમાં લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા સાંજની ઓપીડી ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દર્દીઓને ત્વરિત અને સચોટ સારવાર મળી રહે તે હેતુસર વિવિધ પ્રકારના રોગોની સંધ્યા ઓ.પી.ડી દર્દીઓને લાભદાયક નીવડશે