
હિંદ મહાસાગરમાં વધશે દેશની તાકાત,ભારતીય નૌસેનામાં જોડાશે INS Mormugao
મુંબઈ:રક્ષામંત્રી રાજનાથ સિંહ 18 ડિસેમ્બરે સ્વદેશી રીતે નિર્મિત P15B સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ વિનાશક યુદ્ધ જહાજ ‘મોરમુગાઓ’ ને ભારતીય નૌસેનાને સમર્પિત કરશે.નૌસેના ડોકયાર્ડ, મુંબઈ ખાતે નેવીમાં સામેલ કરવામાં આવશે.આનાથી હિંદ મહાસાગરમાં ભારતીય નૌસેનાની પહોંચ વધશે અને દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત બનશે.રક્ષા મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી હતી.
આ વિનાશક યુદ્ધ જહાજને ભારતીય નૌકાદળના ‘વોરશિપ ડિઝાઈન બ્યુરો’ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ, મુંબઈ દ્વારા બનાવવામાં આવ્યું છે. INS મોરમુગાઓનું નામ પશ્ચિમ કિનારે ગોવાના ઐતિહાસિક બંદર શહેર પરથી રાખવામાં આવ્યું છે. મોરમુગાઓએ ગયા વર્ષે 19 ડિસેમ્બરે પોર્ટુગીઝ શાસનમાંથી ગોવાની આઝાદીના 60 વર્ષ પૂરા થતાં પ્રથમ વખત સમુદ્રમાં પ્રવેશ કર્યો હતો.
ભારતમાં બનેલા શક્તિશાળી યુદ્ધ જહાજોમાંથી એક, INS મોરમુગાઓ 163 મીટર લંબાઈ અને 17 મીટર પહોળાઈ અને 7,400 ટન વજન ધરાવે છે.આ જહાજ ચાર શક્તિશાળી ગેસ ટર્બાઇનથી સજ્જ છે અને તે 30 નોટથી વધુની ઝડપે પહોંચી શકે છે.
INS મોરમુગાઓ બ્રહ્મોસ અને બરાક-8 જેવી મિસાઇલોથી સજ્જ છે.તે ઇઝરાયેલના MF-STAR રડારથી સજ્જ છે, જે હવામાં લાંબા અંતરના લક્ષ્યોને શોધી શકે છે.127 મીમીની બંદૂકથી સજ્જ INS મોરમુગાઓ 300 કિમી દૂર સુધીના લક્ષ્યાંકોને જોડવામાં સક્ષમ છે. તેમાં AK-630 એન્ટી મિસાઈલ ગન સિસ્ટમ લગાવવામાં આવી છે.આ ઉપરાંત, તે એન્ટી સબમરીન રોકેટ લોન્ચરથી પણ સજ્જ છે.