ચૂંટણીપંચની SIR પ્રક્રિયામાં કશું જ ખોટું નથીઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 27 મે 2026: એસઆઈઆરને લઈને સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વનો નિર્દેશ આપ્યો હતો. સીજેઆઈ સુર્યકાંત અને ન્યાયમુર્તિ વાગચીની બેંચે નિર્દેશ કર્યો હતો કે, ચૂંટણીપંચ પોતાની શક્તિઓનો ઉપયોગ કરી રહ્યું છે. પોતાની શક્તિની બહાર નહીં. પુરી પ્રક્રિયાને સંવિધાનની વિરુદ્ધ કરાર ના કરી શકાય. ચૂંટણીપંચે પોતાના અધિકારીનો ઉપયોગ કર્યો હતો. આ મામલે લંબાણપૂર્વકની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. આ અરજીમાં ચુંટણીપંચ દ્વારા શરૂ કરવામાં આવેલી એસઆઈઆરની પ્રક્રિયાને પડકારવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, બંધારણીય વ્યવસ્થા અને જન પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ચૂંટણીપંચને મતદાર યાદીનું વિશેષ ગહન પુનપરીક્ષણ કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) પ્રક્રિયા માન્ય છે અને ચૂંટણી પંચની બંધારણીય સત્તાઓથી વધુ નથી. કોર્ટે સ્વીકાર્યું હતું કે એસઆઈઆર કવાયત પ્રમાણસરતાના સિદ્ધાંતનું પાલન કરે છે અને તેમાં પૂરતા પ્રક્રિયાગત રક્ષણનો સમાવેશ થાય છે. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ પાસે આ પ્રક્રિયા શરૂ કરવા માટે માન્ય અને વાજબી આધાર છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, નાગરિકતા તપાસ ફક્ત મતદાર યાદીમાંથી વ્યક્તિના નામનો સમાવેશ અથવા કાઢી નાખવાના મર્યાદિત સંદર્ભમાં જ હાથ ધરવામાં આવી શકે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ચૂંટણી પંચે પણ આ મર્યાદિત પ્રશ્ન પર વિચાર કર્યો છે, અને આવી કોઈપણ તપાસ કાયદા દ્વારા નિર્ધારિત મર્યાદામાં જ થવી જોઈએ. કોર્ટે જણાવ્યું હતું કે, આ મૂલ્યાંકન ફક્ત સંજોગો અને ઉપલબ્ધ તથ્યોના સંદર્ભમાં જ થવું જોઈએ. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું કે, ચૂંટણી પંચ પાસે મતદાર યાદીમાં નામનો સમાવેશ કરવાનો ઇનકાર કરવાનો અધિકાર છે, પરંતુ આવી કાર્યવાહીને નાગરિકતા નક્કી કરવાની પ્રક્રિયા ગણી શકાય નહીં.
SIR દરમિયાન ચૂંટણી પંચે કોઈની નાગરિકતા નક્કી કરી ન હતી: સુપ્રીમ કોર્ટ
કોર્ટે જણાવ્યું હતું કે મતદાર યાદીમાંથી નામો દૂર કરવામાં નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું, અને લોકોને નોટિસ અને તેમના મંતવ્યો રજૂ કરવાની તક આપવામાં આવી હતી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, ચૂંટણી પંચ પાસે કયા દસ્તાવેજો માન્ય છે તે નક્કી કરવાનો અધિકાર છે. કોર્ટના આદેશ પછી આધાર કાર્ડને પણ દસ્તાવેજોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું, અને આ વ્યવસ્થા મનસ્વી નથી.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે એસઆઈઆર દરમિયાન, ચૂંટણી પંચ કોઈની નાગરિકતા નક્કી કરતું ન હતું, પરંતુ ફક્ત તે જ મૂલ્યાંકન કરતું હતું કે કોઈ વ્યક્તિ મતદાર યાદીમાં સમાવેશ માટે લાયક છે કે નહીં. કોર્ટે જણાવ્યું હતું કે એસઆઈઆર પ્રક્રિયા કોઈને નાગરિકતા આપતી નથી કે તેનાથી વંચિત રાખતી નથી. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે જે લોકોના નામ બિન-નાગરિક હોવાની શંકાના આધારે દૂર કરવામાં આવ્યા હતા તેમના કેસ ચાર અઠવાડિયામાં ગૃહ મંત્રાલય અને ફોરેનર્સ ટ્રિબ્યુનલ જેવી સંબંધિત એજન્સીઓને મોકલવામાં આવે જેથી તેઓ નાગરિકતા અંગે અંતિમ નિર્ણય લઈ શકે.
સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર અરજદારોએ જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા સંવિધાનના અનુચ્છેક 326, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 950 અને તેના હેઠળ બનાવવામાં આવેલા નિયમો પ્રમાણે ચૂંટણીપંચને આપવામાં આવેલી શક્તિઓથી આગળ છે. આ વિવાદ મુખ્ય રીતે ચૂંટણીપંચની એ શરત સાથે જોડાયેલો છે જેની હેઠળ વર્ષ 2002ની મતદાર યાદીમાંથી બહાર રહેલા મતદારોને હવે નાગરિકતા સાહિત કરવી પડશે. તે માટે તેણે કોઈ એક વ્યક્તિને પોતાના પૈતૃક સંબંધ સાબિત કરવો પડશે. જેનું નામ જે તે વખતે મતદાર યાદીમાં સામેલ હોય.


