એક તીરથી બે નિશાન! કર્ણાટકની આ બે બેઠકોથી ચૂંટણી અભિયાન શા માટે શરૂ કરી રહ્યા છે પીએમ મોદી?
નવી દિલ્હી : 16 માર્ચે બપોરે ત્રણ વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક મહોત્સવ લોકસભા ચૂંટણી 2024નો આગાજ થશે. તેની સાથે જ દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કર્ણાટકમાં ભાજપ માટે લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલબુર્ગી અને શિમોગા બેઠક પરથી લોકસભા ચૂંટણીના અભિયાનની શરૂઆત કરી રહ્યા છે. આ બંને બેઠકોને પસંદ કરવાના ઘણાં કારણો હોઈ શકે છે.
કલબુર્ગી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેનો ગૃહ જિલ્લો છે. ખડગે અહીંથી 2009 અને 2014માં લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. પરંતુ ગત લોકસભા ચૂંટણીમાં એટલે કે 2019માં તેઓ ભાજપના ઉમેશ જાધવના હાથે હારી ગયા હતા. કોંગ્રેસ સૂત્રો મુજબ, આ વખતે પાર્ટી 81 વર્ષીય ખડગેનાજમાઈ રાધકૃષ્ણન ડોડ્ડામણિને ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે. પીએમ મોદી અહીં રેલીને સંબોધિત કરીને કલબુર્ગી અને શિમોગામાંથી સમાજના બે વર્ગોને સાધવાની કોશિશ કરી રહ્યા છે. તેમાં અનુસૂચિત જાતિ અને લિંગાયત સમુદાય સામેલ છે. આ બંને સમુદાયો ભૂતકાળમાં ભાજપના કટ્ટર સમર્તક રહી ચુક્યા છે.
કલબુર્ગી એક અનામત બેઠક છે અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેનો ગઢ છે. ખડગે આ વખતે ચૂંટણી લડવાના નથી. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખડગેના ઘરમાં વિપક્ષી ઈન્ડિયા જૂથને નિશાને લઈને એક સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે. 2023ની વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ કર્ણાટકની સત્તા પર કાબિજ કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં 10થી વધુ બેઠકો પર જીતની આશા છે. કોંગ્રેસ 2019માં માત્ર બેંગલુરુ ગ્રામીણ લોકસભા બેઠક જીતવામાં કામિયાબ રહી હતી, તેનું પ્રતિનિધિત્વ કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડી. કે. શિવકુમારના ભાઈ ડી. કે. સુરેશ કરી રહ્યા છે.
કલબુર્ગીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખડગે પર આક્રમક થઈ શકે છે. હૈદરાબાદ કર્ણાટક રીઝનનો આ વિસ્તાર હંમેશાથી જ કોંગ્રેસ પાર્ટીનો ગઢ રહ્યો છે. પરંતુ ત્યાં અનુસૂચિત જાતિનો એક મોટો વર્ગ મડિગા સમુદાયનો છે. આ લોકપ્રિય રીતે વામપંથી સંપ્રદાય કહેવામાં આવે છે. મડિગાઓની સંખ્યા હોલિયાસથી વધારે છે, જે ખડગેનો સાચો સંપ્રદાય છે. પરંતુ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે મડિગા હોલિયાથી વધારે પછાત છે.
ન્યૂઝ 18એ રાજકીય વિશ્લેષકોને ટાંકીને લખ્યું છે કે 2023ની ચૂંટણીમાં કલબુર્ગી સહીત ઉત્તર કર્ણાટકમાં ભાજપના ખરાબ પ્રદર્શન બાદ પીએમ મોદીની યાત્રાથી ક્ષેત્રના ઘટકદળોની સાથે કેડરને પણ આ સંદેશ જશે કે ભાજપ ચૂંટણીઓને લઈને ઘણું ગંભીર છે. 18 માર્ચે પીએમ મોદી પૂર્વ સીએમ બી. એસ. યેદિયુરપ્પાને સમ્માનિત કરવા માટે શિમોગામાં હશે.
જો કે શિમોગામાં પીએમ મોદીની મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે ભાજપમાં જ બળવાના સૂર ગુંજી ઉઠયા છે. ભાજપના વરિષ્ઠ નેતા કે. એસ. ઈશ્વરપ્પાએ પાર્ટીમાંથી બળવો કરવાની શુક્રવારે ઘોષણા કરી છે. તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં શિમોગાથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે. તેમના પુત્ર કે. ઈ. કાંતેશને હાવેરી બેઠક પરથી ટિકિટ નહીં મળવાથી ઈશ્વરપ્પા નારાજ છે અને તેના માટે તેમણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાને જવાબદાર ઠેરવ્યા છે. યેદિયુરપ્પાના પુત્ર અને હાલના સાંસદ બી. વાઈ. રાઘવેન્દ્રને ભાજપે શિમોગાથી પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસે આ બેઠક પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી એસ. બંગરપ્પાના પુત્રી, કન્નડ ફિલ્મ સ્ટાર શિવરાજકુમારની પત્ની અને દિવંગત અભિનેતા ડૉ. રાજકુમારની પુત્રવધૂ ગીતા શિવરાજકુમારને મેદાનમાં ઉતાર્યા છે. ઈશ્વરપ્પાએ પોતાના સમર્થકો દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાજપની વિરુદ્ધ બળવાની ઘોષણા કરતા કહ્યુ છે કે હું શિમોગા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ.
જો કે આ વિસ્તાર યેદિયુરપ્પાનો ગઢ માનવામાં આવે છે. બીએસવાઈના નામથી લોકપ્રિય, રાજકીય દિગ્ગજ યેદિયુરપ્પાએ ખુદના દમ પર ભાજપને 2008માં રાજ્યમાં સત્તા અપાવી હતી. તેમણે એ પણ સુનિશ્ચિત કર્યું હતું કે ભગવા પાર્ટી 2019ની ચૂંટણીઓમાં કુલ 28 લોકસભા બેઠકોમાંથી 25 બેઠકો પર જીત પ્રાપ્ત કરે. શિમોગા જૂના મૈસૂરનું ક્ષેત્ર છે, કલબુર્ગીથી અલગ તે ઉત્તરીય કર્ણાટકમાં છે. આ ક્ષેત્રમાં મુખ્ય સમુદાય લિંગાયત છે અને તેમને પરંપરાગત રીતે ભાજપના સમર્થક સમુદાયના માનવામાં આવે છે.