ગાંધીનગર, 25 મે, 2026 : Two youths save a married woman who jumped into the Narmada Canal ઝૂંડાલ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ઘર કંકાસથી કંટાળીને એક પરિણીતાએ ઝંપલાવ્યું હતું. પરિણીતા કેનાલમાં પડીને ડૂબી રહી હતી. ત્યારે કેનાલ પાસેથી પસાર થઈ રહેલા બે યુવાનોએ મહિલાને બચાવવા કેનાલમાં ઝંપલાવ્યું હતું. કેનાલમાં પાણીનો તેજ પ્રવાહ હોવા છતાંયે બન્ને યુવાનોએ મહિલાને કેનાલના કિનારે સુધી લાવ્યા હતા. દરમિયાન ફાયર બ્રિગેડના જવાનો પણ પહોંચી ગયા હતા. અને મહિલાને બચાવી લીધી હતી.
આ બનાવની વિગત એવી છે કે, ગાંધીનગર નજીક ઝુંડાલ નર્મદા કેનાલમાં પારિવારિક કંકાસથી કંટાળીને મોતની છલાંગ લગાવનાર અંબાપુરની પરણિત યુવતીને બે યુવાનોએ કેનાલમાં પડીને બચાવી લીધી હતી. અમદાવાદના ચાંદખેડા વિસ્તારના એક બિલ્ડરની સમયસૂચકતા અને ઝુંડાલ ગામના સ્થાનિક યુવાનોની બહાદુરીએ એક નાની વયની પરિણીત યુવતીને મોતના મુખમાંથી બચાવી લીધી હતી. ચાંદખેડાના એક બિલ્ડર ઝુંડાલ નર્મદા કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન તેમની નજર કેનાલના ધસમસતા પાણી પર પડતા એક મહિલા તેમાં ડૂબતી અને પોતાનો જીવ બચાવવા માટે હાથપગ મારી રહેલી જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈ બિલ્ડરે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ત્વરિત ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ ત્યાંથી પસાર થતા ગામના સ્થાનિકો અને ગ્રામજનોએ સ્થિતિની ગંભીરતા સમજી લીધી હતી. આ દ્રશ્ય જોઈ ગામના એક યુવાને સીધું જ કેનાલના ધસમસતા પાણીમાં ઝંપલાવ્યું હતું. ત્યારબાદ અન્ય એક યુવાને પણ મદદ માટે કેનાલમાં ભૂસકો માર્યો હતો. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે બચાવકર્મીઓને પણ ભારે મુશ્કેલી પડી રહી હતી. તેમ છતાં બંને યુવાનોએ હિંમત ન હારતા ખૂબ જ કુનેહપૂર્વક મહિલાને કેનાલના કિનારે સુરક્ષિત બહાર કાઢી હતી. અને તુરંત જ એક ખાનગી વાહનમાં તેને અડાલજ સ્થિત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અંબાપુરની આ પરિણીતા પારિવારિક વિવાદથી કંટાળીને આપઘાતનો નિર્ણય લીધો હતો.

