વારાણસી બોમ્બ બ્લાસ્ટના આરોપી વલીઉલ્લાહે અફઘાનિસ્તાનમાં આતંકી તાલિમ લીધી હતી
લખનૌઃ વારાણસી બોમ્બ વિસ્ફોટ કેસમાં કોર્ટે આરોપી વલીઉલ્લાહને દોષિત ઠરાવ્યો છે, વલીઉલ્લાહની પોલીસે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરી હતી. તેના પર સરકાર સામે યુદ્ધ છેડવાનો અને જેહાદીઓ તૈયાર કરવાનો આરોપ હતો. આરોપીએ અફઘાનિસ્તાનમાં આતંકી તાલીમ લીધી હતી.
ઈન્ટેલિજન્સ એજન્સીઓને માહિતી મળી હતી કે ફુલપુરનો વલીઉલ્લાહ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. 18 એપ્રિલ 2001ના રોજ, પોલીસે વલીઉલ્લાહ, ઉબેદુલ્લાહ અને વસીઉલ્લાહની ફૂલપુરના સરાઈ લીલી ગામમાં ઉબેદુલ્લાહના ઘરેથી ધરપકડ કરી હતી. પોલીસે એવો પણ દાવો કર્યો હતો કે વલીઉલ્લાહને અફઘાનિસ્તાનમાં આતંકી તાલીમ આપવામાં આવી હતી.
આ ગંભીર કેસમાં પોલીસે વલીઉલ્લાહ પાસેથી એક ટેલિફોન ડાયરીની રિકવરી બતાવી હતી, જેમાં તમામ ઈસ્લામિક દેશોના લોકોના ફોન નંબર લખેલા હતા. આ સિવાય સલીમ નામના વ્યક્તિને મોકલવામાં આવેલ એક પત્ર પણ પોલીસને મળી આવ્યો હતો. આ ઓપરેશન હેઠળ પોલીસે આરોપી ઉઝૈર આલમની થોડા દિવસો બાદ મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરી હતી. આ ચારેયનો કેસ અલ્હાબાદની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પેન્ડિંગ છે. એક આરોપી મુસ્તકીમ હજુ ફરાર છે, પોલીસ તેને પકડી શકી નથી.
આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે 23 સાક્ષીઓને તપાસ્યા હતા. જ્યારે બચાવપક્ષના વકીલે છ સાક્ષીઓને તપાસીને આરોપીનો બચાવ કર્યો હતો. આરોપી 18 એપ્રિલ 2001ના રોજ જ્યારે તે નમાઝ પઢવા જઈ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. વલીઉલ્લાહ હાલ ગાઝિયાબાદની ડાસના જેલમાં બંધ છે. અન્ય બે ભાઈઓ ઉબેદુલ્લાહ અને વસીઉલ્લાહ અને ઉઝૈર જામીન પર બહાર છે.