નારદા કેસ: ટીએમસી નેતાઓ પર કાર્યવાહીથી નારાજ મમતા બેનર્જી, પહોંચી સીબીઆઈ ઓફિસ
- મમતા બેનર્જી પહોંચી સીબીઆઈ ઓફિસ
- ટીએમસી નેતાઓ પરની કાર્યવાહીથી નારાજ
- નારદા કેસ મામલે ચાલી રહી છે તપાસ
કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પુર્ણ થતાની સાથે નારદા સ્ટિંગ ટેપ કેસની તપાસ ફરીથી શરૂ થઈ છે. આ ઘોટાળામાં આરોપી કેબિનેટ મંત્રી ફિરહાદ હકીમ, સુબ્રત મુખર્જી, ટીએમસી વિધાયક મદન મિત્રા અને પૂર્વ બીજેપી નેતા સોવન ચટર્જીના ઘરે સીબીઆઈએ તપાસ હાથ ધરી છે. સીબીઆઈ દ્વારા તપાસના ભાગરૂપે તેમને આ ચાર નેતાઓને સીબીઆઈની ઓફિસ પણ લાવવામાં આવ્યા છે.
ટીએમસીના નેતાઓને સીબીઆઈની ઓફિસ લઈ જવામાં આવતા બંગાળના રાજકારણમાં જાણે ભૂકંપ આવી ગયો હોય તેમ જણાઈ રહ્યું છે. સીબીઆઈની તપાસને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સીબીઆઈની ઓફિસે પહોંચી ગયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા બેનર્જીએ સીબીઆઈ ઓફિસરોને કહ્યું હતુ કે જો તમે આ 4 નેતાઓની અટકાયત કરી છે તો મારી પણ અટકાયત કરવી પડશે. રાજ્ય સરકાર કે કોર્ટ નોટિસ વગર આ ચાર નેતાઓની અટકાયત કરી શકે નહી. અને પછી પણ જો અટકાયત કરવામાં આવે છે તો મારી પણ અટકાયત કરો.
થોડા દિવસ અગાઉ પશ્ચિમ બંગાળના ગર્વનર જગદીપ ધનખડ પાસે સીબીઆઈએ ફિરહાદ હકીમ, સુબ્રત મુખર્જી, મદન મિત્રા અને સોવન ચટર્જી પર કેસ ચલાવવા માટેની પણ પરવાનગી માગી હતી.