આતંકી હુમલા અને ગુપ્તચર નિષ્ફળતાના આક્ષેપ અંગે રૉના ભૂતપૂર્વ વડા વિક્રમ સૂદે શું કહ્યું?
[અલકેશ પટેલ] સુરત, 4 મે, 2026 – આતંકી હુમલા થાય ત્યારે ગુપ્તચર નિષ્ફળતાના આક્ષેપ થવા લાગે છે, પરંતુ આ અંગે રૉના ભૂતપૂર્વ વડા વિક્રમ સૂદે જણાવ્યું છે કે, નિષ્ફળતાનો નૅરેટિવ ઝડપથી ફેલાવવામાં આવે છે, પરંતુ તેની સામે સફળતાની ટકાવારી વિશે મોટાભાગના લોકોને જાણકારી હોતી નથી. શ્રી સૂદ 3 મેને રવિવારે સુરતમાં યોજાયેલા તેમના પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

ભારત@2047
શ્રી વિક્રમ સૂદના નવા પુસ્તક Great Power Games: From Western Decline to Eastern Ascent ના વિમોચનનું આયોજન સુરત લિટરરી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. સુરત લિટરરી ફાઉન્ડેશન દ્વારા પોતાના નિર્ધારિત લક્ષ ભારત@2047ને આગળ વધારતા સુરત શહેરના કતારગામ વિસ્તાર સ્થિત ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપાઈ ઓડિટોરિયમ હૉલ ખાતે ભારતની વૈશ્વિક ગુપ્તચર એજન્સી RAWના પૂર્વ વડા શ્રી વિક્રમ સૂદજીની ઉપસ્થિતિમાં પુસ્તક વિમોચન તથા તેમની સાથે વિચારવિમર્શનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત લિટરરી ફાઉન્ડેશન
સંસ્થાના સંચાલક ડૉ. ગોપાલ ગૌસ્વામીજી દ્વારા સંસ્થાના વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, આગામી 2047ના વર્ષમાં ભારત પોતાની સ્વાધીનતાનું શતાબ્દી વર્ષ ઉજવતું હશે ત્યારે આપણું ભારત કેવું હશે અને તેને આપણે મળીને કેવું બનાવી શકીએ, પોતાના આ ભગીરથ લક્ષ્ય માટે સુરત લિટરેરી ફાઉન્ડેશન પ્રતિબદ્ધ છે. ત્યારે આ લક્ષ્યની સાર્થકતા માટે સુરત લિટરરી ફાઉન્ડેશન સુરત શહેરના આપણે અવિરત વિભિન્ન ચિંતન કાર્યક્રમોની સાથે સાથે પ્રતિ વર્ષ જાન્યુઆરી મહિનામાં સુરત લિટ ફેસ્ટનું ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરે છે. ગત ચાર સફળ લિટ ફેસ્ટ બાદ, ડૉ. ગોપાલ જી દ્વારા આગામી જાન્યુઆરી મહિનાની તારીખ 8 થી 10માં પાંચમાં લિટ ફેસ્ટના આયોજનની પણ ઘોષણા કરવામાં આવી હતી.
ખોટા નૅરેટિવ વિરુદ્ધ સાચા નૅરેટિવ
સુરત લિટરરી ફાઉન્ડેશન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત પીઢ પત્રકાર શ્રી અતુલ અનેજા સાથે ચર્ચા દરમ્યાન શ્રી સૂદે પોતાના પુસ્તક વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભારતમાં દેશ વિરોધી ઊભા કરવામાં આવતા ખોટા નેરેટિવની સામે આપણે દેશ સામે સાચા નેરેટિવ આપીને લડત આપીએ છીએ અને એક ખોટા નેરેટિવ સામે આપણે લાંબી લડત લડીએ છીએ, આપણે હવે આવા ખોટા નેરેટિવ ઉપસ્થિત થાય તે પહેલાં જ દેશને દરેક ક્ષેત્રમાં સાચા નેરેટિવ આપવા પડશે. વૈશ્વિક અશાંતિ સામે ભારતને પોતાના હિતોને કેન્દ્રમાં રાખીને દેશ વિરોધી દેશોને ઓળખવા પડશે અને મિત્ર દેશો સાથે મળીને દેશ હિતના નિર્ણયો લેવા પડશે. ઓપરેશન સિંદૂરને લઈને દેશ વિદેશ દ્વારા ઘણા ખોટા નેરેટિવ આપવામાં આવ્યા, જેમાં અમેરિકા પણ જશ લેવામાં બાકાત નથી રહ્યું.

દેશના આંતરિક પડકારો તથા ખોટા નેરેટીવનો સામનો કરવા માટે આપણે દેશના કોર્પોરેટ ક્ષેત્ર સાથે સંકલન કરવું જોઈએ, મિત્ર દેશો તથા દેશના કોર્પોરેટ ક્ષેત્ર સાથે મળીને દેશને આર્થિક રીતે સબળ બનાવવો પડશે, આપણે આર્થિક રીતે સક્ષમ હશું તો, આપણે કોઈપણ સમસ્યાનો સામનો આસાનીથી કરી શકીશું.
ગુપ્તચર એજન્સઓને જે સફળતા મળે છે તેની જાણકારી બધાને નથી હોતીઃ શ્રી સૂદ
આપણી ગુપ્તચર એજન્સી વિશે જાણકારી આપતા શ્રી સૂદે જણાવ્યું કે, દેશમાં કોઈ આતંકી હુમલો થાય તો દેશ વાસીઓ ગુપ્તચર એજન્સી પર આંગળી ચીંધે છે, પરંતુ દેશવાસીઓને જાણકારી નથી કે એવા અગણિત હુમલા થતા આપણી ગુપચર એજન્સીએ અટકાવ્યા છે, જેની જાણકારી જાહેરમાં ન આપી શકાય.
તેમણે કહ્યું કે, વર્તમાનમાં AIનો જમાનો છે. એકબીજા દેશો વચ્ચે યુદ્ધનાં ધોરણો બદલાયા છે, વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ રહ્યાની ચર્ચા થઈ રહી છે, ત્યારે આપણે સમગ્ર ક્ષેત્રોમાં સક્ષમ થવું પડશે, જે દિશામાં વર્તમાનમાં આપણો દેશ ખૂબ જ ગતિશીલ વિકસિત થઈ રહ્યો છે.
આ ભવ્ય કાર્યક્રમમાં ખૂબ જ બહોળી સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહ્યા હતા, જેમની જિજ્ઞાસા તૃપ્તિ કરતા સવાલોના ઉત્તરમાં વિક્રમ સૂદે જણાવ્યું હતું કે, દેશમાં ખોટા નેરેટિવનું યુદ્ધ અંતહીન છે, પરંતુ આપણે સાવચેત રહીને ખોટા અને સાચા નેરેટિવને પારખવા પડશે. આ લડાઈની સામે આપણે દેશના કોર્પોરેટ ક્ષેત્ર સાથે સંકલન સાધવું જોઈએ.


