ગાંધીનગર: ગુજરાતમાં જુન જુલાઈમાં સારો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ મહિનો એકંદરે કોરો રહ્યો છે. તેના લીધે ખરીફ પાકને બચાવવા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ત્યારે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉભા પાકને હાલ પાણીની વધુ જરૂર હોવાથી ખેડૂતોને 10 કલાક વીજળી અપાશે. તેમજ જળાશયોમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવશે.
ગુજરાતમાં જૂલાઈ મહિનામાં 80 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ ઓછો થયો છે. ઓગસ્ટ મહિનો કોરો રહેતા ખેડુતો ખરીફ પાકને બચાવવા માટે બોર અને કૂવામાંથી પાણી ખેંચીને સિંચાઈ કરી રહ્યા છે. પણ પુરતી વીજળી ન મળવાથી ખેડુતો પરેશાન બન્યા હતા.પાણી હોવા છતાં પાક સુકાય રહ્યો હતો. આ મુદ્દે ખેડૂતો અને કૃષિ મંત્રી તરફથી પણ 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાની મુખ્યમંત્રી સમક્ષ માગણી કરવામાં આવી હતી. આથી રાજ્ય સરકારે વીજળી અને પાણી આપવાની જાહેરાત કરી છે. જેના કારણે કચ્છ, મહેસાણા, સુરેન્દ્રનગર, ખેડા, પાટણ, રાજકોટ અને જામનગરને 10 કલાક વીજળી અપાશે. આ સિવાય અમદાવાદ, દ્વારકા, બનાસકાંઠા, જૂનાગઢ અને સાબરકાંઠાનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકારની આ જાહેરાતથી 12 લાખ ખેડૂતોને ફાયદો થશે. એટલું જ નહીં, ડાંગર, મગફળી અને કપાસના પાકોને ફાયદો થશે. સરકારે જણાવ્યું છે કે, જ્યાં પાણી માગવામાં આવશે ત્યા સિંચાઈ માટે પાણી આપવામા આવશે. નર્મદા ડેમ સિવાયના ડેમોમાંથી પણ પાણી આપવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયની વિગતો આપતા મંત્રી દેસાઈએ જણાવ્યુ હતું કે, રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્ય સરકારે ખેડૂતોને પાવર અને પાણી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના 14 જિલ્લાઓમાં ખેડૂતોના પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે જેનો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે કુલ 20.28 લાખ ખેતી વીજ જોડાણ ધરાવતાં ખેડૂતોમાંથી 14 જિલ્લાના અંદાજે 12 લાખ જેટલા ખેતી વીજ જોડાણ ધરાવતાં ખેડૂતોને લાભ થશે. રાજ્યમાં વરસાદ ખેંચાતા ખાસ કરીને ડાંગર, કપાસ અને મગફળી જેવા પાકને બચાવવા માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે.
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે સિંચાઇ માટે પાણી અપાશે. સરદાર સરોવર સહિત રાજ્યના જે ડેમોમાં 80 ટકાથી વધુ પાણી છે તેવા ડેમોમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે. રાજ્યમાં જુલાઈ માસ અંતિત સરેરાશ વરસાદના 78 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. પરંતુ સમગ્ર ઓગષ્ટ મહીનામાં માત્ર 4 ટકા જેટલો એટલે કે નહીવત વરસાદ પડ્યો છે. જેથી વરસાદ ખેંચાતા રાજ્યમાં ખરીફ પાકને બચાવવા માટે પાણીની જરૂરીયાત ઉભી થઈ છે જેના લીધે રાજ્યના ધારાસભ્યઓ, પદાધિકારીઓ અને ખેડૂત અગ્રણીઓ દ્વારા ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના મારફત નર્મદાનું પાણી આપવા માટે રજૂઆતો મળી હતી. જેને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક નિર્ણય લઈને ઉત્તર ગુજરાત વિસ્તારની સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર,હયાત 12 ઉદ્દવહન પાઈપલાઈનો તથા સૌરાષ્ટ્ર વિસ્તારની સૌની યોજના થકી જોડાયેલ 2,000થી વધુ તળાવો/ચેકડેમો જળાશયોમાં નર્મદાનું પાણી આપવા માટેનો ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે.