સનસ્ક્રીન લગાવવા છતાં ત્વચા કેમ કાળી પડી જાય છે? જાણો કારણ અને બચવાના ઉપાયો
ઉનાળાની કાળઝાળ ગરમી અને તેજ ધૂપમાં ત્વચાને ટેનિંગ (ત્વચા કાળી પડવી) થી બચાવવા માટે સનસ્ક્રીનને સૌથી ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. આમ છતાં, ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે રોજ નિયમિત સનસ્ક્રીન લગાવવા છતાં તેમની ત્વચા ટેન થઈ રહી છે. આખરે આવું કેમ થાય છે? દિલ્હીની શ્રી બાલાજી એક્શન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના સીનિયર કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ ડૉ. વિજય સિંઘલે આ પાછળના મુખ્ય કારણો અને ભૂલો વિશે વિગતવાર માહિતી આપી છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આપણી ત્વચામાં રહેલા ‘મેલેનિન’ નામના તત્વને કારણે ત્વચાનો રંગ નક્કી થાય છે. જ્યારે ત્વચા સીધી સૂર્યના તેજ પ્રકાશ અને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણોના સંપર્કમાં આવે છે, ત્યારે મેલેનિનનું પ્રમાણ વધવા લાગે છે. આ પ્રક્રિયાને કારણે ત્વચા પર સન ટેન એટલે કે કાળાશ આવી જાય છે. જો આ ટેનિંગને સમયસર દૂર કરવામાં ન આવે, તો તે ત્વચા પર કાયમી ડાર્કનેસનું રૂપ લઈ લે છે.
-
સનસ્ક્રીન લગાવવા છતાં કેમ થાય છે ટેનિંગ? જાણો આ 3 મોટી ભૂલો
પૂરતી માત્રામાં સનસ્ક્રીન ન લગાવવું: મોટાભાગના લોકો નિયમિત સનસ્ક્રીન તો લગાવે છે, પરંતુ તેની માત્રા ખૂબ ઓછી હોય છે. જો સનસ્ક્રીન પૂરતી માત્રામાં ત્વચા પર લગાવવામાં ન આવે, તો તે સૂર્યના કિરણો સામે પૂરતું રક્ષણ આપી શકતી નથી.
યોગ્ય સમયે ફરીથી ન લગાવવું: સનસ્ક્રીન બાબતે લોકો બીજી મોટી ભૂલ એ કરે છે કે તેઓ સવારે એકવાર સનસ્ક્રીન લગાવ્યા પછી આખો દિવસ નિશ્ચિંત થઈ જાય છે. નિષ્ણાતોના મતે, દિવસમાં ઓછામાં ઓછી બે વાર સનસ્ક્રીન લગાવવી જરૂરી છે. ખાસ કરીને જો તમે લાંબો સમય તડકામાં રહો છો અથવા પરસેવો વળે છે, તો દર 2 થી 3 કલાકે સનસ્ક્રીન ફરીથી લગાવવી જોઈએ.
SPF અને PA રેટિંગ પર ધ્યાન ન આપવું: સનસ્ક્રીન ખરીદતી વખતે તે ત્વચાની જરૂરિયાત મુજબની હોવી જોઈએ. ડૉક્ટરે જણાવ્યું કે, સનસ્ક્રીન લેતા પહેલા તેના પર લખેલા SPFઅને PA રેટિંગ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આ બંને ફોર્મ્યુલા ત્વચાને ટેનિંગ અને યુવી કિરણોથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
લાંબો સમય સુધી તડકામાં રહેવું, અતિશય પરસેવો થવો અને ત્વચા સીધી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવી પણ ટેનિંગ માટે જવાબદાર છે. તેથી માત્ર સનસ્ક્રીન લગાવવું પૂરતું નથી, તેને યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં લગાવવું પણ એટલું જ જરૂરી છે.


