વર્ક ફ્રોમ હોમને લીધે બ્રોડબેન્ડની જરૂરિયાત ઊભી થતાં લેન્ડલાઈન ફોનના 91 હજાર જોડાણો વધ્યા
અમદાવાદઃ દરેકનો એક જમાનો હોય છે. લેન્ડલાઈન ફોનનો પણ એક જમાનો હતો. ઘરમાં લેન્ડલાઈન ફોન હોય તો સ્ટેટ્સ ગણાતું હતું, બીએસએનએલમાં લેન્ડ લાઈન ફોનનું કનેક્શન મેળવવા માટે વેઈટિંગ લિસ્ટ ચાલતું હતું. એમપી ક્વોટામાંથી ફોનના ક્નેક્શન મેળવવા માટે પણ ભાવ બોલાતા હતા. લેન્ડલાઈન બાદ મોબાઈલ ફોનનો જમાનો આવ્યો. અને લેન્ડલાઈન ફોનના કનેક્શનો રદ થવા લાગ્યા, બીએસએનએલએ પણ લેન્ડલાઈન ફોનના ગ્રાહકોને સાચવી રાખવા માટે કોઈ આકર્ષક યોજના અમલમાં મુકી નહી, ગુજરાતમાં છેલ્લા 15 વર્ષમાં લેન્ડલાઇનમાં 70 ટકાનો ઘટાડો થયો છે. 2006માં રાજ્યમાં લેન્ડલાઇન ફોનની સંખ્યા 31 લાખ હતી જે ઘટીને માર્ચ 2020માં 8.70 લાખ થઇ ગઇ છે. જોકે, 15 વર્ષમાં પહેલીવાર કોરોનાકાળમાં લેન્ડલાઇન ફોનમાં વધારો થયો છે. રાજ્યમાં 2019-20માં લેન્ડલાઇન ફોન 3.70 લાખ ઘટ્યા હતા જેની સામે કોરોનાના સમયમાં લેન્ડલાઇન ફોનમાં 91 હજારનો વધારો થયો છે. બ્રોડબેન્ડ કનેક્શનને લીધે લેન્ડલાઈનકનેક્શનની માગમાં તોડો વધારો થયો હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના કાળમાં બધા જ વર્ક ફ્રોમ હોમ હતા અને શિક્ષણ પણ ઓનલાઇન હતું જેના કારણે બ્રોડબેન્ડ કનેક્શનની માંગ વધી હતી. માર્ચ, 2020માં લેન્ડલાઇન ફોનની સંખ્યા 8.70 લાખ થઇ હતી જે વધીને માર્ચ, 2020માં 9.50 લાખ થઇ અને મે,2021માં લેન્ડલાઇન ફોન 9.61 લાખ થયા છે. બીજી તરફ, રાજ્યમાં 2019-20માં 13 લાખ મોબાઇલ જોડાણ ઘટ્યા હતા જેની સામે કોરોનાકાળમાં 18 લાખ જોડાણનો વધારો થયો છે. માર્ચ, 2019માં મોબાઇલ જોડાણ 6.92 કરોડ હતા. માર્ચ, 2020માં ઘટીને 6.79 કરોડ થઇ ગયા હતા. હવે, મોબાઇલ જોડાણનો આંકડો વધીને 6.97 કરોડ થયો છે. એપ્રિલ, 2020માં લેન્ડલાઇન 8.17 લાખ હતા. જેમાં વધારો થઇને ઑગસ્ટ,2020માં 9.57 લાખ થયા હતા. ઑક્ટોબર સુધી પણ સામાન્ય વધારો થઇ 9.66 લાખ થયા હતા. ફરી જાન્યુઆરી, 2021માં લેન્ડલાઇન ઘટીને 9.65 લાખ થયા હતા. માર્ચમાં વધુ ઘટાડો થઇને આંકડો 9.50 લાખ થયો હતો. એપ્રિલમાં ફરી ઘટાડો થઇ સંખ્યા 9.38 લાખ થઇ હતી. મે મહિનામાં ફરી એકવાર વધારો થઇ લેન્ડલાઇન 9.61 લાખે પહોંચ્યા છે. બીજી તરફ, એપ્રિલ, 2020થી મે, 2021 સુધી મોબાઇલ ફોનમાં 29 લાખનો વધારો થયો છે.