સુરત રેલવે સ્ટેશન પર સફાઈ અને યાત્રીઓની સુવિધા મુદ્દે યાત્રી સેવા સમિતિ પ્રભાવિત, પુરસ્કારની જાહેરાત
અમદાવાદઃ ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે પધારેલા કેન્દ્રીય રેલવે મંત્રાલય હેઠળ કાર્યરત ‘યાત્રી સેવા સમિતિ’ના ચેરમેન રમેશચંદ્ર રત્નએ સુરત રેલવે સ્ટેશનની મુલાકાત લીધે હતી, અહીં સ્વચ્છતા અને યાત્રી સુવિધાથી તેઓ પ્રભાવિત થયા હતા, અને સુરત સ્ટેશન તંત્રને રૂ.10000 પુરસ્કાર રાશિ ઘોષિત કરી હતી. તેમણે જરૂરી પંખાઓ અને સિટીંગ બેન્ચીસ ફાળવવામાં આવશે એમ જણાવ્યું હતું. તેમણે ચાઈલ્ડ રેસ્ક્યુની સફળ કામગીરી કરનાર RPF ની ટીમને રૂ. 5000 અને વાણિજ્ય વિભાગને રૂ. 10000ની પ્રોત્સાહન રાશિ આપવાની પણ ઘોષણા કરી હતી.
રમેશચંદ્ર રત્નએ સુરત રેલવે સ્ટેશનની મુલાકાત જણાવ્યું કે, કોરોનાકાળમાં ભારતીય રેલવે દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. તેમાં ખાસ દક્ષિણ ગુજરાતમાં શ્રમિકો માટે 720 ટ્રેનો ચલાવી 11.10 લાખ શ્રમિકોને તેમના વતનના ગંતવ્યસ્થાને સુરક્ષિત પહોચાડવામાં આવ્યા હતા. સુરત રેલવે સ્ટેશનના તમામ સ્ટોલ ઉપર ‘નો બિલ, નો પેમેન્ટ’નો કન્સેપ્ટ અને ડ્રેસ કોડ સાથે કાર્યરત સ્ટોલધારકો પ્રેરક સંદેશ આપે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2014 બાદ ભારતીય રેલવેમાં વિકાસની ઝડપ તીવ્ર ગતિથી વધી છે. ખાસ કરીને તા.1 ફેબ્રુ. 2017 એ રેલવે બજેટ પ્રવાસીઓના હિતમાં ઘોષિત કરાયું હતું. જેના પરિણામે આજે દેશના અનેક રેલવે સ્ટેશનો અદ્યતન સુવિધાથી સજ્જ બન્યા છે. ઉપરાંત નવા બજેટમાં દેશના તમામ નાના મોટા ક્ષેત્રોને પરસ્પર જોડી કનેક્ટિવિટી વધારવાનું કાર્ય તેજ ગતિથી થઈ રહ્યું છે. તેમણે પ્રવાસીઓ સાથે પોતે સંવાદ કરી પ્રવાસ દરમિયાન રેલવેમાં સ્વચ્છતા જાળવવા, જોખમી રીતે રેલવે ટ્રેક પાર ન કરવા તેમજ RPF સ્ટાફને સહયોગ આપવાનો અનુરોધ કર્યો હતો.
ચેરમેન રમેશચંદ્ર રત્નએ ગુજરાતની ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન અત્યાર સુધી નવસારી, વાપી, બિલીમોરા, વલસાડ અને ઉધના રેલવે સ્ટેશનોની મુલાકાત લઈ સુવિધાઓ, રજૂઆતો અને રેલ્વેના વિકાસ પ્રકલ્પોની જાણકારી મેળવી હતી.