ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારોઃ DyCM નીતિન પટેલ
અમદાવાદઃ ગુજરાત સરકારના કર્મચારીઓને પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસે જ વિજય રૂપાણી સરકારે મોટી રાહત આપી હતી. સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણયને કારણે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને રાહત મળશે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે રાજ્યના કર્મચારીઓને હવે 28 ટકા મોંઘવારી ભથ્થું મળશે. આ સપ્ટેમ્બર મહિનાથી નવા નિયમ પ્રમાણે 28 ટકા મોંઘવારી ભથ્થા સાથે પગાર અને પેન્શન ચુકવવામાં આવશે. 2 મહિનાનું એરીયર્સ ઓક્ટોબર મહિનાના પગાર સાથે ચુકવવામાં આવશે. 1 મહિનાના એરીયર્સની રકમ 378 કરોડ રૂપિયા થાય છે.
આ નિર્ણયનો લાભ ગુજરાત સરકારના 9,61,600 કર્મચારીઓને મળશે, જેમાં 5,11,129 જેટલા ગુજરાત સરકારના કર્મચારીઓ, પંચાયત વિભાગના 4,50,509 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાડા ચાર લાખ પેન્શનરોને પણ અનો લાભ મળશે.