ઉત્તર ગુજરાતમાં આજથી 10 દિવસ સુધી નર્મદાનું 1500 ક્યુસેક પાણી અપાશે
પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં આજે 15મી એપ્રિલને શુક્રવારથી 10 દિવસ સુધી નર્મદાનું 1500 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના મૂંગા પશુઓના લીલો ઘાસચારો બચાવવા મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, ગઈકાલે બનાસકાંઠાના વડગામમાં યોજાયેલા સમસરતા સંમેલનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે પણ ખાતરી આપી હતી કે, સુજલામ-સુફલામ યોજનાની કેનાલો અને નર્મદાની કેનાલોમાં પાણી છોડવામાં આવશે.
ઉતર ગુજરાતમાં આ વર્ષે સિંચાઈ માટેના પાણીની મોટી સમસ્યા ઊભી થઈ છે. જેમાં બનાસકાંઠામાં તો વિકટ સ્થિતિ સર્જાતા ખેડુતોએ લડતના મંડાણ કર્યા હતા. બીજીબાજુ સરદાર સરોવર નર્મદા યોજનામાં ચાલુ વર્ષે પાણીની આવક ઓછી હોય ઉનાળુ સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન થયેલ ન હતું. આથી નર્મદા આધારિત પાકની કોઈ વાવણી ન કરવા ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી. પરંતુ ઉત્તર ગુજરાતમાં મૂંગા પશુઓ માટે પરંપરાગત રીતે ઉનાળામાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોએ મુખ્યમંત્રીને પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજનાની નહેરો મારફતે પાણી આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ અપનાવીને 1500 ક્યુસેક પાણી 15 એપ્રિલથી શરૂ કરીને દસ દિવસ સુધી આપવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને સુચના આપી છે. આકરા ઉનાળામાં આ પાણી ઘાસચારાને જીવતદાન આપશે અને મૂંગા અબોલ પશુઓને આ ઘાસચારો રાહત આપશે. સરકારના આ નિર્ણયને અનેક ધારાસભ્યો, પદાધિકારીઓ અને ખેડૂત આગેવાનોએ વધાવીને આભાર વ્યક્ત કર્યો છે.