અમરેલીઃ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે ગીરના પૂર્વના જંગલમાં સિંહોને પીવાનું પાણી મળી રહે તે માટે કુલ 254 પાણીના અલગ અલગ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં કુદરતી 82 પોઇન્ટ આવેલા છે. જ્યારે કૃત્રિમ 172 પોઇન્ટ આવેલા છે પાણીના પોઈન્ટમાં સોલાર, ટેન્કર, અને પવનચક્કીથી પાણી ભરવામાં આવે છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગીરના જંગલમાં મિતીયાળા અભયારણ્ય, પાણિયા અભયારણ્ય અનામત જંગલ વિસ્તારમાં વનરાજો માટે પાણીની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેના કારણે કાળઝાળ ગરમી તાપમાન વચ્ચે સાવજો પોતાની તરસ સિપાવવા માટે નિયમિત પાણી પીવા આવી રહ્યા છે. તમામ પાણીના પોઇન્ટ પર વન વિભાગના અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. પાણીના પોઇન્ટ ખાલી ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જેના કારણે સિંહો સહિત વન્યપ્રાણીનો વસવાટ છે. તેવા વન્યપ્રાણીઓ માટે આ પાણીની સુવિધા આશિર્વાદ રૂપ સાબિત થઈ છે. જોકે આ દર વર્ષે ઉનાળાની ઋતુમાં વનવિભાગ દ્વારા સિંહો માટે પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે છે.
ગીર પૂર્વ ડીસીએફ રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગીર પૂર્વ વનવિભાગ દ્વારા વન્યપ્રાણી માટે ઉનાળાના સમયમાં પાણીની સુવિધાઓ જંગલ વિસ્તારમાં કરવામાં આવી છે ખાસ કરીને ગીર અભયારણ્ય,પાણિયા અભયારણ્ય,અનામત જંગલ, જેમાં કુલ 254 પાણીના પોઇન્ટ આવેલા છે કુદરતી 82 છે કૃત્રિમ 172 આવેલા છે સોલાર દ્વારા 30 ટકા,પવનચક્કી દ્વારા 10 ટકા, ટેન્કર દ્વારા 25 ટકા બાકીના માનવ દ્વારા પાણી ચીંચવામાં આવે છે.
અમરેલી જિલામાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે જેમાં ગીર જંગલ રેવન્યુ સહિત વિસ્તારમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે ગીર પૂર્વ વન વિભાગ દ્વારા વનરાજો માટે પાણીની વિશેષ સુવિધા શરૂ કરતાં સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ વન વિભાગની કામગીરીને બિરદાવી છે.