
ભારતમાં ખાતરની 3.31 લાખ દુકાનોને PMKSKમાં રૂપાંતરિત કરાઈઃ મનસુખ માંડવિયા
નવી દિલ્હીઃ દેશના ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વધે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ખેડૂતોને સરળતાથી યોગ્ય માત્રામાં ખાતર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ખાતરની 3 લાખથી વધારે દુકાનોને PMKSKમાં ફેરવવામાં આવી છે.
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ આજે દેશના ખેડૂતો સાથે વાતચીત કરી હતી. ખેડૂતોના પ્રશ્ન અને તેમની રજૂઆત સાંભળી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ વિશે માહિતી આપી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ખેડૂતોની કમાણી વધારવા માટે ખેતી કરવાની પદ્ધતિમાં ફેરફારનો આગ્રહ કર્યો હતો. 3 લાખ 30 હજાર 499 છૂટક ખાતરની દુકાનોને PMKSKમાં રૂપાંતરિત કરવામાં આવી છે. તે અંગેની માહિતી આપી હતી. ઉપરાંત, આધુનિક અને મોડલ ફોર્મિંગ ખેતી પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સંવાદ દેશના વિવિધ પ્રધાન મંત્રી કૃષિ સમૃદ્ધિ કેન્દ્રોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં દેશના 6 રાજ્યો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને પંજાબના ખેડૂતોએ ભાગ લીધો હતો.