
અમદાવાદઃ ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 38.83 ટકા પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે 37.35 ટકા સામે આ વર્ષે 45.49 ટકા જળાશયો ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 56.62 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જયારે ગુજરાતના 19 જળાશયો 100 ટકાથી વધુ એટલે સંપૂર્ણ છલકાયા છે. 32 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 24 જળાશયો 50 થી 70 ટકા તેમજ 54 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે.
રાજ્યમાં 100 ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા 19 જળાશયોમાં અમરેલી જિલ્લાનું ધાતરવાડી, વાડિયા, સંક્રોલી, મુંજીયાસર, સુરજવાડી, ગીર સોમનાથનું મચ્છુન્દ્રિ, જામગનરનું વઘાડીયા, સપાડા અને રૂપારેલ, જુનાગઢનું હસનપુર, મોટા ગુજેરીયા, ઉબેન, કચ્છનું ગજાનસર, કાલાગોગા કંકાવટિ અને ડોન, રાજકોટનું મોજ, સોદવદર, તેમજ તાપી જિલ્લાના ડોસવાડા જળાશયનો સમાવેશ થાય છે જે હાલ હાઈ એલર્ટ પર છે.
આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ 15જળાશયો 50 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયો 30 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો 35 ટકા, કચ્છના 20 જળાશયો 51 ટકા, તેમજ સૌરાષ્ટ્રના કુલ 141 જળાશયોમાં 50 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે. રાજ્યના દૈનિક 5000થી વધુ કયુસેક પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 39323 કયુસેક તથા ઐજત-વિઅર (વંથલી) અને વણાકબોરીમાં દૈનિક 3000થી વધુ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. રાજ્યમાં આજથી ફરીથી વરસાદી માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જેથી જળાશયોમાં સતત નવા વરસાદની આવક થઈ રહી છે.
(PHOTO-FILE)