1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિદ્યાપીઠના 69માં પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે પદવીઓ-પારિતોષિક એનાયત
ગુજરાત વિદ્યાપીઠના 69માં પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે પદવીઓ-પારિતોષિક એનાયત

ગુજરાત વિદ્યાપીઠના 69માં પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે પદવીઓ-પારિતોષિક એનાયત

0
Social Share

અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠના 69માં પદવીદાન સમારોહમાં રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં 61 પીએચડી, 10 એમ.ફિલ.,  434  એમ.એ.,  397  બી.એ. અને 51 પી.જી. ડિપ્લોમાની પદવીઓ અપાઈ હતી.  રાજ્યપાલના હસ્તે 43 વિદ્યાર્થી ભાઈ-બહેનોને 62 પારિતોષિકો એનાયત કરાયા હતા.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત ઉદબોધનમાં કહ્યું હતું કે,  104 વર્ષ પહેલાં પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ઉચ્ચ આદર્શો અને ઉદ્દેશ્યો સાથે સ્થાપેલી આ સંસ્થામાંથી શિક્ષણ લઈને સમાજ સમક્ષ જઈ રહેલા છાત્ર-છાત્રાઓ પૂજ્ય બાપુના સત્ય, અહિંસા અને અપરિગ્રહના ગુણો સાથે કુરિવાજોના નિર્મૂલન અને લોકકલ્યાણ માટે પ્રવૃત્ત થવાની પ્રતિજ્ઞા લેશે તો આ દીક્ષાંત સમારોહ સાચા અર્થમાં ઐતિહાસિક સમારોહ બનશે. અક્ષરજ્ઞાન તો કોઈ પણ યુનિવર્સિટી આપી શકે, પૂજ્ય બાપુનું મિશન ભારતીય જીવનમૂલ્યો પ્રમાણે સંસ્કારવાન-ચારિત્રવાન યુવાનોના નિર્માણનું હતું. આપણે એ આદર્શોને સમાજ સુધી લઈ જવા સામૂહિક પ્રયાસો કરીએ અને પૂજ્ય બાપુના આદર્શનું ભારત બનાવીએ.

પૂજ્ય બાપુએ વિદ્યાર્થીઓને માત્ર અક્ષરજ્ઞાન આપવા કે ડિગ્રીઓ વહેંચવા ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના નહોતી કરી, તેઓ વિચારોમાં પ્રબુદ્ધ હોય, સંસ્કારથી ઉન્નત હોય, બૌદ્ધિક સમૃદ્ધ હોય અને ભારતીય જીવનમૂલ્યોના આધારે જીવન જીવતા હોય એવા યુવાન-યુવતીઓના નિર્માણ માટે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. ભૂતકાળમાં ગૂજરાત વિદ્યાપીઠના છાત્રોએ માતૃભાષા, રાષ્ટ્રભાષા, આત્મનિર્ભર ભારત અને ગ્રામ સ્વરાજ જેવા આંદોલનોનું નેતૃત્વ કર્યું છે. દેશના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આજે પૂજ્ય બાપુના આદર્શોને એવી જ તત્પરતા, સમર્પણ અને કર્મઠતાથી આગળ વધારવાના ચિંતન સાથે સંકલ્પબદ્ધ થવાની આવશ્યકતા છે.

આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે સૂર્યએ સામે ચાલીને ક્યારેય નથી કહેવું પડતું કે, તે ઉદય થયો છે. સૂર્યપ્રકાશ જ તેનું પ્રમાણ છે. પૂજ્ય ગાંધીજીએ પણ એક જ વાક્યમાં કહ્યું હતું કે, “મેરા જીવન હી મેરા સંદેશ હૈ”. આપણે-ગુજરાત વિદ્યાપીઠે પૂજ્ય બાપુના આદર્શોને, મિશનને પુરા સમર્પણભાવથી જનઆંદોલન બનાવવાની આવશ્યકતા છે.

તેમણે છાત્રો, ગુરુજનો અને છાત્રોના માતા-પિતાઓને સંબોધતાં કહ્યું હતું કે, છાત્રોએ જીવનમાં સદાય સત્યનો માર્ગ અપનાવો જોઈએ. સત્ય અને અહિંસા પૂજ્ય બાપુના મજબૂત આલંબન હતા. સત્ય જ જીવનની સચ્ચાઈ છે. જીવન કેવલ સત્ય આધારિત હોવું જોઈએ. છાત્રોએ ધર્મનું એટલે કે કર્તવ્યનું પાલન કરવું જોઈએ. કર્તવ્યનું પાલન કરવું એ જ ધર્મ છે. યુવાનોએ માતૃધર્મ, પિતૃધર્મ, પરિવારધર્મ અને રાષ્ટ્રધર્મ અપનાવવો જોઈએ. ધર્મપાલન એટલે કે કર્તવ્યપાલનથી જ જવાબદાર નાગરિકનું નિર્માણ સંભવ છે.

કાર્યકારી કુલનાયક  પ્રો. ભરતભાઈ જોશીએ આ પ્રસંગે કહ્યું હતું કે, આ સંસ્થા મક્કમ મનોબળ અને સકારાત્મક પરિવર્તનને આધાર બનાવી નવી ક્ષિતિજો તરફ આગળ વધી રહી છે તેની સંતોષપ્રદ અનુભૂતિ થાય છે. દુનિયા બદલાઈ રહી છે. તેથી મનને જે સક્ષમ બનાવે છે અને સકારાત્મક પરિવર્તનને જે અનુસરે છે તે નવી સીમાઓને પાર કરે છે. ગુજરાત વિદ્યાપીઠ સ્થાપનાકાળે જે ધ્યેયો માટે થઈને કાર્યરત હતી તે ધ્યેયો માટે આજે પણ સક્રિય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code