કોરોના મહામારીને પગલે જેલમાં કેદીઓને મળવાના સમયમાં કરાયો ફેરફાર
અમદાવાદઃ જેલમાં બંધ કેદીઓને કોરોનાકાળમાં પરિવારજનોને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટતા હવે કેદીઓને પરિવારજનોને મળવાની મંજૂરી મળે છે. જો કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જેલતંત્ર દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યાં છે. પહેલા અઠવાડિયામાં એકવાર કેદીને પરિવારજનો મળી શકતા હતા. જો કે, હવે 15 દિવસમાં એક જ વારા પરિવારજનો કેદીને મળી શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર તા. 1લી ફેબ્રુઆરીથી જેલમાં બંધ કેદીઓને પરિવારજનોને મળવાની મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 190થી વધારે કેદીઓની પરિવારજનોએ મુલાકાત લીધી છે. કોરોનાનું સંક્રમણ જેલમાં ન ફેલાય તે માટે કેદીને મળવાના નિયમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યાં છે. જેલમાં બંધ કેદીને લોહીનો સંબંધ ધરાવતા પરિવારજનો જ મળી શકશે. એટલું જ નહીં 2 દિવસ પહેલા મુલાકાતીએ કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે જેનો રિપોર્ટ પણ જેલતંત્ર સમક્ષ રજૂ કરવાનો રહેશે. એટલું જ નહીં મુલાકાતના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. દર 15 દિવસે કેદીને પરિવારજનો માત્ર 15 મિનિટ માટે મુલાકાત કરી શકશે. બે જ સગા કેદીને મળશે ત્યારે કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે પોલસ અને જેલતંત્ર વધારે સતર્ક બન્યું છે. જેલમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે જેલતંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ વિવિધ ગુનામાં આરોપીની ધરપકડ બાદ તેનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવે છે. જો આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેની સારવાર બાદ પોલીસ તેની કસ્ટડી મેળવે છે.