
અમદાવાદઃ રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત આરોગ્ય સેવાઓ પૂરી પાડીને માનવીની મહામૂલી જીંદગી બચાવવી એ અમારી પ્રાથમિકતા છે જેના પરિણામે આજે રાજ્યમાં ૮૦૦થી વધુ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાનની સેવાઓ કાર્યરત છે. WHOના ધોરણો મુજબ દર ૧ લાખની વસ્તીએ ૧૦૮ જેવી એક એમ્બ્યુલન્સની સેવા જોઇએ એ મુજબ રાજ્યમાં ૬૫૦ એમ્બ્યુલન્સ હોવી જોઇએ. તેની સામે ગુજરાતમાં ૮૦૦ થી વધુ એમ્બ્યુલન્સ કાર્યરત છે જે અમારી નાગરિકોની જીંદગી બચાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે નવી પચીસ 108 એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું કે આકસ્મિક સંજોગોમાં નાગરિકોને ત્વરિત આરોગ્ય સારવાર આપવી એ વેળાએ દેશભરમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં વર્ષ 2007માં સાત 108 એમ્બ્યુલન્સથી શરૂ કરેલી સેવાઓમાં ઉત્તરોતર વધારો સરકારે કર્યો છે અને આજે 108ની આઠસો એમ્બ્યુલન્સ સેવા રાજ્યભરમાં કાર્યરત છે. આ યોજનાની સફળતાને ધ્યાને લઈ અમે તેમાં વધારો કર્યો છે. નાગરિકોની મહામૂલી જીંદગી બચાવવા માટે આગામી બે-ત્રણ માસમાં નવી પંચોતેર 108 એમ્બ્યુલન્સ વાન સુવિધા નાગરિકો માટે કાર્યાન્વિત કરાશે.
તેમણે ઉમેર્યું કે 108 એમ્બ્યુલન્સ સેવાઓ માટે રાજ્યના વિવિધ તાલુકા મથકોએ નિયત પોઇન્ટ નક્કી કરાયા છે. જેનું રાજ્યકક્ષાએથી અમદાવાદના મુખ્ય કન્ટ્રોલરૂમથી મોનિટરીંગ કરાય છે. જે સેવાઓ ૨૪ કલાક કાર્યરત છે અને માત્ર 20 મિનિટના સમયમાં દર્દીઓ પાસે પહોંચીને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડે છે. દર્દીઓને વધુ સઘન સારવાર મળી રહે એ માટે 200 એમ્બ્યુલન્સ વાનમાં વેન્ટિલેટર સહિત મોનિટર અને અન્ય આનુષાંગિક સાધનો સાથે સુસજ્જ છે.
એમ્બ્યુલન્સ વાન દ્વારા 1.22 કરોડથી વધુ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડાયા છે એટલું જ નહીં 1.20 લાખથી વધુ મહિલાઓની પ્રસૂતિ પણ આ વાનમાં કરાઈ છે. કોરોનાના કપરાકાળમાં દર્દી પાસે જતાં પરિવારના સભ્યો પણ ડરતા હતા તે સમયે 108ની સમગ્ર ટીમ દ્વારા વિવિધ જિલ્લાઓમાં 2.15 લાખથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે હોસ્પિટલ સુધી પહોંચાડવાની સુંદર કામગીરી કરી છે. એટલું જ નહીં હોસ્પિટલમાં દર્દીઓને પથારી મળે ત્યાં સુધી બે-ચાર કલાક સુધી 108 એમ્બ્યુલન્સ વાનમાં જ ઓક્સિજન સુવિધાઓ પૂરી પાડીને નાગરિકોની મહામૂલી જિંદગી બચાવવા માટેનો અવિરત પ્રયાસો કરાયા છે.
તેમણે ઉમેર્યું કે જેમ જરૂરિયાત ઉભી થાય તેમ તેમ આ સેવાઓને અદ્યતન સાધનોથી સજ્જ કરવા માટે પણ આયોજન કરાઈ રહ્યું છે તેમ જ 108 સેવાના ક્રૂ-મેમ્બર, પેરામેડિકલ સ્ટાફને વખતોવખત તાલીમ આપીને પણ સજજ કરવામાં આવે છે.