
સૌરાષ્ટ્ર યુનિ, પરીક્ષાર્થીઓ ઉત્તરવહીમાં મોટા અક્ષરે અને લીંટી છોડીને લખશે તો સપ્લીમેન્ટરી નહીં મળે તેવો નિર્ણય પાછો ખેંચાયો
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. યુનિના સત્તાધિશોએ એવો નિર્ણય લીદો છે કે, પરીક્ષાની ઉત્તર વહીમાં પરીક્ષાર્થીઓ જો મોટા અક્ષરે કે લીંટી છોડીને લખતે તો તે પરીક્ષાર્થીને સપ્લીમેન્ટરી આપવામાં નહીં આવે, યુજી અને પીજીના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની પરીક્ષામાં ઉત્તરવહીમાં સારું પ્રેઝન્ટેશન કરવા માટે મોટા અક્ષરે લખાણ કરતા હોય છે, કોઈ લખાણ વચ્ચે મોટી જગ્યા છોડતા હોય છે તો કોઈ પેપર લખતી વખતે બિનજરૂરી રીતે એક લીટીમાં લખાણ કરી બીજી લીટી કોરી છોડી દેતા હોય છે. આવા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નિયમો કડક કર્યા છે, જેમાં હવે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આપવામાં આવતી 24 પાનાંની ઉત્તરવહીમાં બિનજરૂરી રીતે જગ્યા છોડીને કે લીટીઓ છોડીને લખાણ કર્યું હશે તેવા વિદ્યાર્થીઓને પૂરક ઉત્તરવહી નહીં આપવા નિર્ણય કર્યો છે. આ મુદ્દે વિવાદ થતાં અંતિ નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ નિર્ણયથી વિવાદ ઊભો થયો છે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે સંલગ્ન તમામ કોલેજોને લેખિતમાં સૂચના આપી નિયમનું પાલન કરાવવા જણાવ્યું છે. અને એવી સુચના આપી છે કે, કોઈપણ પ્રકારની ઉત્તરવહીમાં પરીક્ષાર્થીઓએ બિનજરૂરી મોટા અક્ષરે જવાબો લખવાના નથી, બે શબ્દો વચ્ચે બિનજરૂરી જગ્યા રાખવાની નથી, દરેક મુખ્ય પ્રશ્નના પેટા પ્રશ્નોની શરૂઆત, બિનજરૂરી લીટીઓ છોડીને કરવાની નથી અને ઉત્તરના લખાણની વચ્ચે બિનજરૂરી લીટીઓ પણ છોડવાની નથી. 24 પાનાની ઉત્તરવહીમાં આ તમામ સૂચનાઓનું પરીક્ષાર્થી દ્વારા પાલન ન થયું હોય તેમને પૂરક ઉત્તરવહી મળવાપાત્ર થશે નહીં. યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીને જણાવ્યું હતું કે, પેપર કેવી રીતે લખવું કે કેવી રીતે નહીં તે યુનિવર્સિટીએ વિદ્યાર્થીને નક્કી કરવા દેવું જોઈએ. યુનિવર્સિટીએ માત્ર એટલું જ જોવાનું છે કે વિદ્યાર્થી ઉત્તરવહીમાં કોઈ ગેરરીતિ ન કરે. પરંતુ વિદ્યાર્થીઓએ કેવી રીતે ઉત્તરવહી લખવી તે બાબતમાં યુનિવર્સિટીએ ચંચુપાત ન કરવી જોઈએ, આ ખોટું છે.