- ઓમિક્રોનના સંકટ વચ્ચે યોગી સરકાર સતર્ક
- ઓમિક્રોનના કેસને નિયંત્રિત કરવા માટે નાઇટ કર્ફ્યૂ લાગુ કર્યો
- આવતીકાલથી નાઇટ કર્ફ્યૂ લાગુ થશે
નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન મૂળ વાયરસની તુલનાએ ત્રણ ગણી ઝડપથી પ્રસરી રહ્યો છે અને મોટા ભાગના રાજ્યોમાં હવે પગપેસારો કરી ચૂક્યો છે ત્યારે હવે ઉત્તરપ્રદેશ સરકારે વધતા ઓમિક્રોન કેસના પ્રસારને રોકવા માટે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. રાજ્યમાં ફરીથી કેટલાક પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે.
ઉત્તરપ્રદેશમાં વધતા ઓમિક્રોન કેસ અને તેને નિયંત્રણ કરવા માટે સરકારે ફરીથી નાઇટ કર્ફ્યૂ લાગૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
કોવિડ સામે રક્ષણ માટે ટ્રેસિંગ, ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને વેક્સિનેશનની નીતિના અમલને કારણે રાજ્યમાં સ્થિતિ અત્યારે નિયંત્રણમાં છે. છેલ્લા 24 કલાકમાં કરવામાં આવેલ 1 લાખ 91 હજાર 428 સેમ્પલની તપાસમાં કુલ 49 જ નવા સંક્રમિતોની પુષ્ટિ થઇ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઉચ્ચ સ્તરીય ટીમને પણ કેટલાક આદેશો આપવામાં આવ્યા છે.
આ સમયગાળા દરમિયાન, કુલ 12 લોકોની સારવાર કરાઇ હતી અને તેઓ કોરોના મુક્ત થયા હતા. આજે રાજ્યમાં કુલ સક્રિય કોરોના કેસની સંખ્યા 266 છે, જ્યારે 16 લાખ 87 હજાર 657 દર્દીઓએ કોવિડને મ્હાત આપી છે.