
ગુજરાતમાં વિદ્યાસહાયકોની ભરતી કરવાની જગ્યાએ પ્રવાસી શિક્ષકોની કરાતી નિમણૂંકો સામે રોષ
ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષકોની અઢાર હજાર જગ્યાઓ ખાલી હોવા છતાં પુરી જગ્યાઓ કાયમી ધોરણે ભરવાની જગ્યાએ 10000 જગ્યાઓમાં પ્રવાસી શિક્ષકોની નિયુક્ત કરવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાતા પાંચ વર્ષથી ટેટ ની પરીક્ષા પાસ કરી શિક્ષકોની ભરતીની આતુરતાથી રાહ જોઈ રહેલા એક લાખથી વધુ બેરોજગાર યુવાનોમાં રોષ વ્યાપી ગયો છે.
રાજ્યમાં વિદ્યાસહાયકોની ભરતીની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતુ કે ખુદ સરકારે ભરતી કેલેન્ડર નિયત કર્યુ હોવા છતા દર વર્ષે ખાલી પડેલી જગ્યાઓમાં નિયમિત ભરતી કરવામાં આવતી નથી અને ફક્ત ચુંટણી સમયે જ ભરતી કરવામાં આવે છે વર્ષ 2017 વિધાનસભાની ચુંટણી પુર્વે ધોરણ 1 થી 5 માં માત્ર 1300 વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી હતી તેમજ વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણી પહેલા ધોરણ 6 થી 8 માં 2000 વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી હતી. ત્યારબાદ કોઈ ભરતી ન થવાના કારણે લગભગ 18000 જેટલા શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે.
રાજ્ય સરકાર ભરતી કેલેન્ડર મુજબ ધોરણ 1 થી 5 માં 6500 અને ધોરણ 6 થી 8 6000 શિક્ષકોની એમ કુલ 12500 શિક્ષકોની ભરતી કરવાની જગ્યાએ સરકાર માત્ર 3300 વિદ્યા સહાયકોની ભરતી કરી રહી છે તેની સામે ખાલી જગ્યાઓ ઉપર દસ હજાર પ્રવાસી શિક્ષકોની કામચલાઉ ધોરણે નિયુક્તિ કરી બેરોજગાર ઉમેદવારો અને ગરીબ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સરકાર રમત કરી રહી છે. ત્યારે પ્રવાસી શિક્ષકોની ભરતી બંધ રાખી તમામ જગ્યાઓમાં લાયકાત ધરાવતા ટેટ 1 અને ટેટ 2 પાસ શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. (file photo)