લોકો જાગૃત બન્યાં, ચાઇનીઝ તુક્કલો ખુબ ઓછા પ્રમાણમાં ઉડતી જોવા મળી
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જો કે, લોકોમાં ચાઈનીઝ દોરી અને તુક્કલને લઈને આવેલી જાગૃતિને કારણે અમદાવાદ સહિત રાજયના મોટાભાગના શહેરોમાં છેલ્લાં ઘણા વર્ષોની સરખામણીમાં આ વર્ષે ઉતરાયણમાં ચાઇનીઝ તુક્કલો ખુબ ઓછા પ્રમાણમાં ઉડ્યા હતા.
ચાઇનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલનો ઉપયોગ મકરસંક્રાતિમાં ન થાય તે માટે પોલીસ દ્વારા એક મહિના પહેલાથી જ ડ્રાઇવ શરૃ કરવામાં આવી હતી અને 1500થી વધુ ગુના નોંધવામાં આવ્યા હતા. જેના કારણે તુક્કલોનો ઉપયોગ કરાયો નહોતો. આ ઉપરાંત, પોલીસ કમિશનર દ્વારા અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સુચના આપવામા આવી હતી કે તેમના વિસ્તારમાં અગાશી પરથી કોઇ તુક્કલ ચગાવે તો પોલીસ તે સ્થળે જઇને કાયદેસરની કાર્યવાહી કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પર્વને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. બીજી તરફ દોરી વાગવાના અને ધાબા ઉપરથી પડી જવાના બનાવો પણ સામે આવ્યાં હતા.
(Photo: file)