
ગાંધીનગરમાં નિવૃત કર્મચારીઓએ સરકારી ક્વાટર્સ ખાલી કરવા પડશે, બાકી ભાડું પેન્શનમાંથી કપાશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં અનેક વિવિધ વિભાગોની સરકારી કચેરીઓ આવેલી છે. અને સરકારના કર્મચારીઓને રહેવા માટે સરકારી ક્વાટર્સ આપવામાં આવે છે. પરંતુ ઘણાબધા કર્મચારીઓ વયનિવૃત થયા બાદ પણ સરકારી ક્વાટર્સ ખાલી કરતા નથી. સરકારી કર્મચારીઓને ફાળવેલા આવાસ નિવૃત્તિ બાદ પણ બિનઅધિકૃત કબજામાં રાખવાના કિસ્સામાં હવે પાટનગર યોજના વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે મુજબ બિનઅધિકૃત કબજો રાખવાના સમયગાળા દરમિયાનનું સરકારી આવાસનું ભાડું 20 જેટલા કિસ્સામાં પેન્શનરોના પેન્શનમાંથી તબક્કાવાર કાપવાના આદેશ કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં વર્ષો જુના જર્જરીત થયેલા સરકારી આવાસની ફાળવણી બંધ કરવામાં આવી છે. બીજીતરફ મોટાપાયે ભરતી થવાને કારણે કર્મચારીઓની સંખ્યામાં વધારો થતા સરકારી આવાસની ડિમાન્ડ વધી છે. હાલ 5500થી વધારે કર્મચારીઓ સરકારી આવાસ માટે વેઇટીંગમાં છે. એકબાજુ નવા કર્મચારીઓ માટે આવાસ ખાલી નથી ત્યારે બીજીબાજુ અનેક કર્મચારીઓ નિવૃત્તિ બદલી કે મૃત્યુના કિસ્સામાં નિયમ મુજબ સરકારી મકાન ખાલી નહીં કરીને બિનઅધિકૃત કબજો રાખી રહ્યા છે. સમયસર મકાન ખાલી નહીં થતા કર્મચારીઓને ફાળવી શકાતા નથી. આથી મકાન ખાલી થાય તે માટે બિનઅધિકૃત કબજાના કિસ્સામાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા 476 જેટલા કર્મચારીઓ, પેન્શનરો સામે ઇવિક્શન કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ કેસના નિકાલમાં ઝડપ લાવવા છતાં હજુ 283 કેસ પેન્ડિંગ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગરમાં બદલી કે નિવૃત્તિ બાદ સરકારી આવાસ ખાલી નહીં કરવાના વધુ 50 જેટલા કિસ્સા ધ્યાને આવ્યા છે. જેમને હવે નોટીસ આપીને આવાસ ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે. જો સમયમર્યાદામાં મકાન ખાલી નહીં થાય તો તેમની સામે પણ ઇવિક્શન કેસ દાખલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શહેરમાં નવા સરકારી આવાસ બનાવવાની મંજૂરી પણ અપાઇ છે પરંતુ આવાસ બનતા બેથી ત્રણ વર્ષનો સમય લાગતો હોય છે બીજીતરફ વેઇટીંગ પણ લાંબુ થતું રહે છે જેથી બિનઅધિકૃત કબજા ખાલી કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.