સુપ્રીમનો રેલવેથી વેધક સવાલ, ઑનલાઇન ટિકિટવાળા મુસાફરોને જ અકસ્માત વીમો કેમ?
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટએ ભારતીય રેલવેને એક મહત્વપૂર્ણ અને ગંભીર સવાલ પૂછ્યો છે કે, રેલવે અકસ્માત વીમો માત્ર ઑનલાઇન ટિકિટ ખરીદનાર મુસાફરોને જ કેમ આપવામાં આવે છે, જ્યારે દરરોજ લાખો મુસાફરો ઑફલાઇન ટિકિટ લઈને મુસાફરી કરે છે અને તેઓ આ સુરક્ષા કવચથી સંપૂર્ણપણે વંચિત છે?
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચને જણાવાયું કે હાલ અકસ્માત વીમો માત્ર ઑનલાઇન ટિકિટ બુક કરનારા મુસાફરો માટે જ ઉપલબ્ધ છે. રેલવેની તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ વિકર્મજીત બેનર્જીને કોર્ટએ આ ભેદભાવનું કારણ સ્પષ્ટ કરવાની સૂચના આપી છે.
કોર્ટએ નોંધ્યું કે, મુસાફરોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ, વીમો જેવી મૂળભૂત સુરક્ષા બધા મુસાફરોને સમાન રીતે મળવી જોઈએ, ઑનલાઇન અને ઑફલાઇન ટિકિટધરાવતા મુસાફરો વચ્ચેનો આ તફાવત સમજવા યોગ્ય નથી.
સુપ્રીમ કોર્ટએ રેલવે દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટની પણ નોંધ લીધી હતી. કોર્ટએ કહ્યું કે શરૂઆતમાં રેલવેએ ટ્રેક અને લેવલ-ક્રોસિંગની સલામતી પર સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ, કારણ કે અહીંથી સમગ્ર પ્રણાલીમાં સુધારાની દિશા સ્પષ્ટ થાય છે. બેન્ચે રેલવેને દેશભરમાં સલામતી સુધારાની યોજનાઓ ચાલુ રાખવા માટે પણ ટકોર કરી છે.
કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે અકસ્માત વીમા સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર રેલવેને આગામી સુનાવણી (13 જાન્યુઆરી) સુધી વિગતવાર અને તર્કસભર જવાબ આપવો ફરજિયાત છે.


